અમરેલી ચલાલાના ખાતે જિલ્લા કક્ષાનો ૭૧ મો વન મહોત્સવ સંપન્ન
પ્રભારીમંત્રીધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરીની પ્રેરક ઉપસ્થિતિમાં
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની ઉપસ્થિતિમાં ચલાલાના ગાયત્રી મંદિર મહિલા કોલેજના પટાંગણમાં જિલ્લાકક્ષાનો ૭૧ મો વન મહોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃત્તિમાં વન્ય સંપદાઓનું મહત્વ અનેરું છે. વૃક્ષોથી વાતાવરણ હરિયાળું અને ખુશનુમા બને છે. મેઘરાજાની મહેર પણ વૃક્ષોને આભારી છે ત્યારે માનવજીવનમાં વૃક્ષોનું મહત્વ કાયમ માટે પ્રસ્થાપિત થાય તે આવકારદાયક છે. મંત્રીએ ભાવિ પેઢી માટે વૃક્ષોને વિરાટી વિરાસત ગણાવતા કહ્યું કે, વૃક્ષનું વાવેતર અને વન-વનસંપદાઓનું મહત્વ જળવાયેલું રહે તે માટે જનજાગૃત્તિ આવશ્યક છે. વન અને પર્યાવરણની સમતુલા જાળવવા માટે હાથ ધરવા આવતા પગલામાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો. મંત્રીએ ઉમેર્યું હતું કે, વરસાદ એ વૃક્ષને આધારિત છે, દક્ષિણ દિશામાં વૃક્ષોનું વાવેતર કરી વાદળોને આકર્ષવામાં આવે છે, જે વરસાદ ખેંચી લાવે છે. દરેક વૃક્ષ ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત છે.વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે પ્રાકૃત્તિક વિપદાઓ અને ગ્લોબલ વોર્મિંગને લીધે નુકશાન થતું જોવા મળે છે. વૃક્ષોમાં ઘટાડો થતાં પર્યાવરણ પર અસરો થાય છે. તેમણે વન વિભાગની કામગીરી અને પ્રવૃત્તિઓની વિગતો આપતા ઉમેર્યુ કે, રોપાઓનું વિતરણ કરવામાં આવે છે પરંતુ તેના ઉછેરની જવાબદારી આપણા સર્વની છે. કોરોનાની મહામારી સામે આપણે સૌ જંગ લડીએ છીએ ત્યારે મંત્રીએ તમામ લોકોને ફરજીયાત માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ રાખવા તેમજ સરકારની ગાઇડલાઇન્સને ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી.ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું કે, પ્રત્યેક જીવમાં શિવ સૂત્રને સાકાર કરવા રાજય સરકારે શરૂ કરેલી વનીકરણની પ્રવૃત્તિઓ અને વન મહોત્સવના કારણે મોટું પરિવર્તન આવ્યું છે. વનીકરણની પ્રવૃત્તિને લીધે ગુજરાત રાજય હરિયાળું બન્યું છે. નાગરિકોને વૃક્ષઉછેરમાં સહયોગ આપવા તેમણે અપીલ કરી હતી. જંગલ બહારના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવે તે માટે પગલાઓ હાથ ધરવામાં આવે તે આવશ્યક જણાય છે. વનસંપદાઓમાં વૃદ્ધિ કરવા નાગરિકોને સહકાર આપવા અપીલ કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે, રાજયમાં વનકેન્દ્રો અને વનચેતના કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. રોજબરોજના જીવનમાં અને આયુર્વેદમાં વૃક્ષો અને તેના ઉપયોગનું વિશેષ મહત્વ છે.આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ કાર્યક્રમમાં વૃક્ષ ઉછેર અને જતન કરનાર પર્યાવરણ પ્રેમીઓને તેમજ વનકર્મિઓની ઉત્તમ કામગીરી બદલ એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે લાભાર્થીઓને નિર્ધૂમ ચૂલા તેમજ શ્રમયોગીઓને વાસણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રી તથા મહાનુભાવોએ પટાંગણમાં વૃક્ષ વાવેતર કર્યુ હતું. મંત્રીએ લીલીઝંડી ફરકાવી વૃક્ષ રથ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે વિવિધ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિક અગ્ર મુખ્ય વનસંરક્ષક ડો. એ. પી. સીંગ, જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, નાયબ વન સંરક્ષક ડો. પ્રિયંકા ગેહલોત, પૂર્વ ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયા, સર્વ અગ્રણી વી.વી. વઘાસીયા, હિરેનભાઇ હિરપરા, કૌશિકભાઈ વેકરીયા, કમલેશભાઇ કાનાણી તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments