ધારીમાં વન કચેરીમાં પડેલ અઢી લાખ કિલો ઘાસ પલળી ગયું
ધારી વન કચેરીમાં ખુલ્લામાં પ્લેટફોર્મ બનાવી તાલપત્રી ઢાંકેલું અઢી લાખ કિલો જેટલું ઘાસ વરસાદમાં પલળી ગયું હતું જે હવે પશુઓને ખાવા લાયક બચ્યુ નથી. તો અહિ આવેલા સાત ઘાસ ગોડાઉનમાંથી ઘણાના પતરા ઉડી ગયા હોય વરસાદ આવે તો અહિં રહેલું ઘાસ પલળી જાય તેવી સ્થિતિ છે.
ધારી ગીર પૂર્વનાં જંગલમાંથી વનતંત્રએ વર્ષો વર્ષ વાઢેલું ઘાસ ધારી વન વિભાગની કચેરી ખાતે આવેલા ઘાસ ગોડાઉનમાં રાખવામાં આવે છે તથા અમુક ઘાસ પ્લેટફોર્મ બનાવી એટલે કે ખુલ્લામાં ઘાસ પર તાલપત્રી રાખવામાં આવે છે. અહિં પ્લેટફોર્મ પર અઢી લાખ કિલો જેટલું ઘાસ રાખવામાં આવ્યું હતું જે વાવાઝોડાનાં કારણે તાલપત્રી ઉડી ગયેલ હતી વાવાઝોડા સાથે ભારે વરસાદ પણ વરસ્યો હોય અહિં પડેલું અઢી લાખ કિલોજેટલું ઘાસ પલળી ગયું હતું જે હવે પશુ પણ ખાઈ શકે તેમ નથી.
સમગ્ર ગુજરાતમાં વાવાઝોડાની અગાઉથી આગાહી કરવામાં આવી હતી તેમ છતાં વન કચેરીમાં પડેલું અઢી લાખ કિલો ઘાસ જેની કિંમત ર0 લાખ રૂપિયા જેટલી થવા પામે છે તે ખસેડવાનું વનબાબુઓને સુઝયું નહોતું જેથી આ ઘાસ હવે નાશ પામ્યું છે. આ ઘાસની સાથોસાથ 7 જેટલા ઘાસ ગોડાઉનમાં અંદાજે 6 લાખ કિલો જેટલું ઘાસ પડયું છે. અહિં પણ ઘણા ગોડાઉનના પતરા અગાઉથી નહોતા અથવા તો વાવાઝોડામાં ઉડી ગયા તે ઘાસ પર પણ વરસાદ વરસ્યો હશે ત્યારે આ ઘાસ પણ હવે પશુઓને ખાવા લાયક છે કે કેમ તે તપાસનો વિષય છે.
અહી સાત ગોડાઉન અને પ્લેટફોર્મ મળી કુલ 8 લાખ કિલોથી વધારે ઘાસ રાખવામાં આવ્યું છે. જે કુદરતી આપદા જેવી કે, ભારે વરસાદ, વરસાદ, વાવાઝોડુ, ભૂકંપ વગેરે સમયમાં જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ફાળવવામાં આવે છે અને આ ઘાસ મામલતદાર કચેરીની નીગરાનીમાં રહેલું હોય છે.
હાલ તો અઢી લાખ કિલો જેટલું ઘાસ પલળી ગયું છે તથાન ગોડાઉનમાં પણ ભારે માત્રામાં ઘાસ પલળી ગયું છે. જો વાવાઝોડા અગાઉ આ ઘાસને અન્ય સલામત સ્થળે તબદલી કરવામાં આવ્યું હોત તો મહામુલુ ઘાસ બચી ગયું હોય અને પશુઓને પણ ચારા માટે આપી શકાય તેમ હતું પણ વન વિભાગનાં બેજવાબદારવલણ અથવા તો ઉદાસીનતાના કારણે ઘાસ પલળી ગયું હતું.
આ અંગે ઈન્ચાર્જ ડીસીએફનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, પ્લેટફોર્મ પરનું ઘાસ પલળી ગયું છે તથા ઘાસ ગોડાઉનમાં જે ગોડાઉનને નુકસાની થયેલ છે તેનું રીપેરીંગ ચાલું કરવામાં આવશે.
Recent Comments