અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળોએ આપના દ્વાર આયુષ્માન હેઠળ PMJAY-MA કાર્ડ માટેના કેમ્પ યોજાયા
આરોગ્યલક્ષી સુવિધાઓ માટે જરૂરી એવું PMJAY-MA કાર્ડ કઢાવવા ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે
સમગ્ર અમરેલી જિલ્લામાં વિવિધ તાલુકા મથકોએ અને ગ્રામ્ય સ્તરે આપના દ્વાર આયુષ્માન હેઠળ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત (PMJAY-MA) કાર્ડ કાઢવા માટે કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિનામૂલ્યે આરોગ્યલક્ષી સુવિધાઓ માટે અમલમાં મુકવામાં આવેલી આ યોજના માટેના લાભો લેવા માટે કાર્ડ અત્યંત જરૂરી છે. કાર્ડ કઢાવવા અંગેની વધુ માહિતી માટે ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે.
ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરું કરવામાં આવેલ આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે સ્ટેટ હેલ્થ એજન્સી કરે છે. આયુષ્યમાન ભારત યોજના દેશનાં ૫૦ કરોડ જેટલાં ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બની છે.
નોંધનીય છે કે આયુષ્યમાન ભારત યોજનામાં દેશનાં ૧૦.૭૪ કરોડ ગરીબ-વંચિત પરિવારોનાં ૫૦ કરોડ જેટલાં ગરીબ-વંચિત નાગરિકોને પ્રતિવર્ષ રૂ.5 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે મળશે. જે પરિવારોને ગરીબી રેખા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે અને જે પરિવારો બી.પી.એલ. કાર્ડધારક છે એ તમામ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. ગુજરાતનાં ૪૪ લાખથી વધુ ગરીબ-વંચિત પરિવારના ૨.૨૫ કરોડ નાગરિકોને ૧૦૦ ટકા સરકારી ખર્ચે સારવારનો લાભ મળશે.
Recent Comments