સાવરકુંડલામાં પરિવારજનોની હાજરીમાં જ સિંહ ૩ વર્ષના બાળકને ઉઠાવી ગયો
અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી છે તેમજ એ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ લટાર મારી રહ્યા છે. ત્યારે સાંજે સાવરકુંડલાના ઘનશ્યામનગરમાં શિકારની શોધમાં ૩ વર્ષના બાળકને સિંહ ઉઠાવી ગયો હતો. પરિવારજનો સાંજના સમયે વાડીએથી આવી રહ્યા હતા ત્યારે બાળક પણ સાથે જ હતું. આ દરમિયાન પરિવારના સભ્યોની હાજરીમાં નીતિન રાકેશભાઈ મેહડા નામના બાળકને દબોચીને સિંહ લઈ ગયો હતો. સાવરકુંડલા વન વિભાગને ઘટનાની જાણ થતાં તેમનો કાફલો દોડી આવ્યો હતો. વન વિભાગની ટીમે શોધખોળ હાથ ધરતાં બાળકનો માથાનો ભાગ અને પગ મળી આવ્યાં હતાં. સતીષભાઈ લાલજીભાઈ સુહાગિયાની વાડી વિસ્તારની આ ઘટના હોવાનું સામે આવ્યું છે.
સાવરકુંડલાના ઘનશ્યામનગરમાં સિંહે એક ૩ વર્ષના બાળકનો શિકાર કરતાં લોકોમાં ભારે ડરનો માહોલ જાેવા મળી રહ્યો છે. પરિવારજનોની હાજરીમાં સિંહે બાળકનો શિકાર કર્યો હતો. ધારી ગીર પૂર્વ ડીસીએફ રાજદીપ સિંહ ઝાલા સહિત સ્થાનિક આર.એફ.ઓ.સહિતના વનકર્મીઓ દ્વારા આ બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જુદા- જુદા વિસ્તારમાં સિંહને પકડવા માટે પાંજરાં પણ ગોઠવી દેવામાં આવ્યાં છે. જાેકે સિંહે બાળકને ઉઠાવી દૂર સુધી લઈ ગયો હતો. વન વિભાગને શોધખોળ દરમિયાન માત્ર બાળકના અવશેષો મળી આવ્યા હતા. હજુ સુધી સિંહ પાંજરે પુરાયો નથી, જેને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. સિંહ, દીપડા સહિતનાં વન્ય પ્રાણીઓ જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં આવી રહ્યાં છે અને અનેક લોકો પર હુમલા કરી રહ્યા હોવાની પણ કેટલીય ઘટનાઓ સામે આવી રહી છે, જેને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. શિકારની શોધમાં સિંહ, દીપડા સહિતનાં વન્યપ્રાણીઓ રેવન્યુ વિસ્તારમાં આવી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે લોકો પર વન્યપ્રાણીઓના હુમલાની ઘટનાને પગલે રોષ સાથે ડરનો માહોલ જાેવા મળી રહ્યો છે.
Recent Comments