અમરેલી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સંપન્ન
પર્યાવરણના જતન અને વૃક્ષારોપણના મહત્વને આગામી પેઢી સુધી લઈ જવા માટે સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ પર્યાવરણ’ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. રાજ્યમાં અંબાજી ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે અમરેલી જિલ્લામાં વરસડા પાસે આવેલી ડૉ. કલામ ઈનોવેટીવ સ્કુલ ખાતે સાંસદશ્રી નારણભાઈ કાછડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો. જિલ્લા મથકે યોજાયેલા કાર્યક્રમમાં સૌએ મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ દિને સાંસ્કૃતિક કૃત્તિ રજૂ કરી પોતાની પ્રતિભા દર્શાવી હતી. સામાજિક વનીકરણ વિભાગ અમરેલી અને વન્યજીવ વિભાગ શેત્રુંજીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ વનસંરક્ષકશ્રી શેત્રુંજી જયંત પટેલે પ્રાસંગિક ઉદ્બબોધન કર્યુ હતુ.
તેમણે જણાવ્યુ હતુ કે, અમરેલી જિલ્લાની કુલ વસતી આશરે ૧૬ લાખ ૫૦ હજાર છે. જેની સામે જિલ્લામાં પ્રતિ વ્યક્તિદીઠ ત્રણ વૃક્ષો છે. અમરેલી જિલ્લામાં વૃક્ષોરાપણને વેગ આપવા માટે વન વિભાગ દ્વારા આ વર્ષે બે લાખ રોપાનું વાવેતર કરવામાં આવશે જ્યારે ૨૩ લાખથી વધુ રોપાનું વિતરણ કરવાનો લક્ષ્યાંક છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ પર્યાવરણ અને વિકાસ વચ્ચે સંતુલન સાધવા માટે સહિયારા પ્રયાસો કરવા જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે, વિકાસ અને પર્યાવરણ બચાવવા વચ્ચે સંતુલન સાધવો અનિવાર્ય છે. પર્યાવરણના જતન માટે સરકારશ્રીના જુદાં-જુદાં કાયદાઓ અને કાર્યક્રમો અમલમાં છે પરંતુ આ કાર્ય સહિયારા પ્રયાસોથી કરવામાં આવે તો ધાર્યુ પરિણામ મળી શકે છે. કોરોના કાળમાં પ્રદૂષણનું સ્તર ઘટ્યું તેના સારા પરિણામો આપણે સૌએ નિહાળ્યા હતા. પ્લાસ્ટિક સહિતના પ્રદૂષણનો નાથવા જરુરી છે. આપણે આત્મ જાગૃત્તિ સાથે પર્યાવરણ બચાવવા માટે કાર્ય કરશું તો ચોક્કસથી પરિણામ મળશે.
કાર્યક્રમમાં સંબોધન કરતા સાંસદશ્રી નારણભાઈ કાછડિયાએ વૃક્ષારોપણને ઝુંબેશ સ્વરુપે ઉપાડવા માટે આહ્વાન કર્યુ હતુ. ફક્ત વૃક્ષારોપણ પૂરતું સીમિત ન રહેતાં તેના જતન માટે કાળજી રાખવા માટે પણ તેમણે જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, પર્યાવરણના જતન માટે સહિયારા પ્રયાસો જરુરી છે. આપણે પર્યાવરણની જાળવણી કરવાની જ છે, જળ એ જ જીવન છે. વનવિભાગ પ્રજા સાથે મિત્ર બની અને આ અભિયાન ચલાવે તે જરુરી છે. તેમણે પ્રદૂષણોના સાત પ્રકાર વિશે જણાવી તે નાથવા શું કરી શકીએ તે વિશે જણાવ્યુ હતુ. આ સાથે જ તેમણે પોતાના પર્યાવરણ પ્રેમને ઉજાગર કરતા દૃષ્ટાંતો ટાંક્યા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી રોપા વિતરણ માટેના પર્યાવરણ રથને પ્રસ્થાન કરાવ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી જ્યોતિબેન ખાખસે કરી હતી. આ કાર્યક્રમમાં ધારી-બગસરા-ખાંભાના ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા, લાઠી-બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વિપૂલભાઈ દુધાત, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી મુકેશભાઈ બગડા, પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંઘ, નાયબ વનસંરક્ષકશ્રી ગીર પૂર્વ વનવિભાગ રાજદીપસિંહ ઝાલા, સામાજિક વનીકરણ વિભાગ અમરેલી મદદનીશ વન સંરક્ષકશ્રી એમ.યુ. શેખ, નાયબ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સોલંકી, સંસ્થાના ટ્રસ્ટીશ્રી ઠાકરશીભાઈ મેતલિયા, ધાર્મિક, સામાજિક, પર્યાવરણપ્રેમી આગેવાનો, વિવિધ એન.જી.ઓના પ્રતિનિધિશ્રીઓ, જિલ્લાની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને વનવિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments