કુંભણ ગામે કોરોના દર્દી માટે નિવાસ સાથે ઉપચાર સુવિધા શરૂ કરાઈ. સહકારી અગ્રણી નાનુભાઈ વાઘાણી દ્વારા દર્દીને વિનામૂલ્યે ઉપચાર સેવાનો લાભ.
કોરોના બિમારીના વધતા વ્યાપ સામે આગેવાનો પદાધિકારીઓ દ્વારા સેવા યજ્ઞો ચાલુ થઈ રહ્યા છે. કુંભણ ગામે પણ સહકારી આગેવાન માજી ધારાસભ્ય શ્રી નાનુભાઈ વાઘાણી દ્વારા કોરોના દર્દીઓ માટે સારવાર સુવિધા શરૂ કરવામાં આવી છે.
લગભગ સાડાત્રણ ચાર હજારની વસતિ ધરાવતા આ કુંભણ ગામમાં કોરોના લક્ષણો ધરાવતા દર્દીઓને દવાખાને જવાનો માનસિક ભય રહેતો હોવાનું શ્રી નાનુભાઈ વાઘાણીના ધ્યાને આવતા તપાસ કરતા ગયા પખવાડિયા સુધીમાં વધુ ઓછા અંશે ૨૦થી વધુ કોરોનાગ્રસ્ત ગ્રામજનોને તાકીદની આવશ્યક સારવાર મળે તથા ચેપ પરિવાર અને બહાર ના લાગે તે હેતુ આ આયોજન કરાયું. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન ૪ જેટલી વ્યક્તિના મરણ પણ થયા.
કુંભણ ગામે શ્રી વાઘાણી વિદ્યાલય ખાતે કોઈ ભેદભાવ વગર કોરોના દર્દીઓ માટે પથારી સાથે ઉકાળો, નાસ, ચા, નાસ્તો, ભોજન સુવિધા ઉપલબ્ધ છે. આ સંસ્થાના આચાર્ય અને આ સેવા કેન્દ્રના સંચાલક શ્રી પ્રતાપભાઈ ચૌહાણના જણાવ્યા મુજબ અહીંયા જરૂરિયાતમંદ દર્દીઓ માટે પ્રાણવાયુ અને એમ્બ્યુલન્સ વગેરેની વિનામૂલ્યે ઉપચાર સેવા વ્યવસ્થા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીંયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ કર્મચારી દ્વારા પણ સહયોગ મળી રહ્યો છે. ગામમાં ઉકાળા વિતરણ તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને રોગપ્રતિકારક શક્તિની ટિકડીઓ વગેરે અપાઈ રહ્યું છે.
અહીંયા પુરુષો અને મહિલાઓ માટે એમ અલગ અલગ વ્યવસ્થા મળીને ૨૫ કરતા વધુ પથારીઓ માટે આયોજન થયું છે, જેનો લાભ કુંભણ સાથે અનિડા, ખાખરિયા, નવાગામ, સરોડ સહિત આ પંથકના કેટલાંયે ગામોના દર્દીઓને લાભ મળશે.
ભાવનગર જિલ્લા સહકારી બેન્કના અધ્યક્ષ અને માજી ધારાસભ્ય શ્રી નાનુભાઈ વાઘાણીએ જણાવ્યા મુજબ આ કોરોના બિમારી દરમિયાન દર્દીના પરિવાર માટે પણ સારવાર કરવી એ ખૂબ ચિંતાજનક પરિસ્થિતિ બને છે, જેથી આવા પરિવારને પણ સુરક્ષિત રાખવા અને દર્દીની સારવાર સંભાળ રહે તેવા હેતુથી પોતાના વતન કુંભણમાં કેવળ માનવસેવા હેતુથી અહીંયા કાર્યકરોના સહકારથી પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે સેવા સુવિધા શરૂ કરેલ છે. અહીંયા દર્દી તેમજ તેમના સબંધી માટે વિનામૂલ્યે સુવિધાઓ મળશે.
કુંભણ ગામે આ સુવિધાની જરૂરિયાત ધરાવનારાઓએ શ્રીપ્રતાપસિંહ ચૌહાણ (૮૫૩૦૧૧૧૧૨૩), શ્રી ભગવાનભાઈ ખાંભલ્યા (૯૮૨૪૨૩૯૫૫૧),શ્રી ગણેશભાઈ વાઘાણી (૯૪૨૮૬૩૯૨૦૬),શ્રી અશોકભાઈ વાઘાણી(૯૪૨૭૧૪૯૪૨૫), તથા શ્રી દલપતભાઈ બાબરિયા (૯૮૨૪૬૬૬૯૦૬) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
Recent Comments