‘તૌકતે’ સાયકલોનની સંભવિત અસરોને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ
‘તૌકતે’ સાયક્લોનની સંભવિત અસરોને પહોંચી વળવા જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાની આગેવાની હેઠળ ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. જિલ્લામાં તૌકતે સાયક્લોનને કારણે કોઈ જાન-માલની નુકસાની ન થાય તે માટે તંત્ર સુસજ્જ બની કાર્યવાહી કરે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વિવિધ વિભાગોને જરૂરી સૂચન તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
ખાસ કરીને કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોનાના દર્દીઓની જ્યાં સારવાર ચાલે છે તેવી હોસ્પિટલો ખાતે વીજ પુરવઠો ન ખોરવાય. ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. બચાવ અને રાહત કામગીરી સહિતનું આયોજન કરવામાં આવ્યું છે.
વીજ પુરવઠો ખોરવાય તો હેન્ડ હેલ્ટ ટોર્ચ, ડી.જી.જનરેટર સેટ, સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. ઓક્સિજન સહિતની વ્યવસ્થા માટેની તૈયારીઓ કરી સાયક્લોનનો સામનો કરવાં તંત્ર સાબદૂ કરવામાં આવ્યું છે.રેશનીંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના અનુસાર તંત્ર દ્વારા દરેક તાલુકા કક્ષાએ અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ જિલ્લા તથા તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરી તેમાં મહેસૂલ તથા પંચાયતના કર્મીઓની ફાળવણી કરવામાં આવી છે.
સંભવિત સાયક્લોનને પગલે જિલ્લાના દરિયાકાંઠાની નજીકનાં ગ્રામ્ય વિસ્તારોમાં આશ્રયસ્થાનો ઉભા કરવામાં આવ્યાં છે. સ્થાનિક પંચાયત તથા મહેસૂલના અધિકારીઓને જરૂર પડ્યે તેનો ઉપયોગ કરવાં સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોના લોકોનું સ્થળાંતર સહિતની કામગીરી યુધ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
હાલ દરિયામાં રહેલી બોટને પરત બોલાવી લેવાની સૂચના આપી દેવામાં આવી છે.તેમજ આગામી તા. ૧૯ મી સુધી દરિયો ન ખેડવાં માટેની સૂચના આપી દેવામાં આવી છે. જરૂર જણાયે નીચાણવાળા વિસ્તારોમાં વસતાં લોકોને સલામત સ્થળોએ ખસેડવા તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે.
તેમજ આરોગ્ય વિભાગને પૂરતો દવાનો જથ્થો ઉપલબ્ધ રાખવાં તથા અગરિયાઓને સલામત સ્થળે ખસેડવાની સૂચના અપાઈ છે.વીજ પુરવઠો ન ખોરવાય તે માટે ડી.જી. સેટ સહિતની વ્યવસ્થા બેક અપ પ્લાન તરીકે રાખવાં આનુસંગિક વ્યવસ્થાઓ હાથ ધરવા પી.જી.વી.સી.એલ.ને સૂચિત કરાયું છે.
વધુ વરસાદ અને સાયક્લોનથી કાચા સ્ટ્રક્ચરોને સલામત રીતે ખસેડી કોઇ જાનમાલનું નુકશાન ન થાય તે માટેની સૂચનાઓ સંબંધિત અધિકારીઓને આપી દેવામાં આવી છે. આ સિવાય કમ્યુનિકેશન બની રહે તે માટે હરીફરી શકે તેવાં મોબાઇલ ટાવર સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચત કરવામાં આવી છે.
આ બેઠકમાં ભાવનગર મ્યુનિસિપલ કમિશનરશ્રી એ.એમ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણ બરનવાલ તથા જિલ્લાના વરિષ્ટ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
Recent Comments