ભાવનગર જિલ્લાના નવનિયુક્ત પ્રભારી સચિવશ્રી અશ્વિનીકુમારના અધ્યક્ષસ્થાને જિલ્લાના મુખ્ય અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ
ભાવનગર જિલ્લાના નવનિયુક્ત પ્રભારી સચિવશ્રી અશ્વિનીકુમારના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન ખંડ ખાતે જિલ્લાના મુખ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
પ્રભારી સચિવશ્રીએ તેઓની પ્રથમ સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગોની પ્રાથમિક જાણકારી મેળવ્યા બાદ શિક્ષણ, વીજળી, મનરેગા, પંચાયત,મહેસૂલ વિભાગની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.
પ્રભારી સચિવશ્રીએ જણાવ્યું કે, યોગ્ય આયોજન સાથે પોતાની પાસે ઉપલબ્ધ સાધનોનો સમયસર અને મહત્તમ ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે. જો તેમ થાય તો જ લોકોને સમયસર અને જરૂરિયાત મૂજબ સેવાઓ પૂરી પાડી શકાશે.
તેમણે જિલ્લામાં ચાલતાં મનરેગાના કામો, આવાસ યોજનાઓ, જળ-સિંચાઇના કામો વગેરેની સમીક્ષા કરી ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
પ્રભારી સચિવશ્રીએ પાણી- ગટર, વીજળી, આવાસ યોજનાઓ સહિતની સ્થિતિ જાણી તે અંગેની ઉપયોગી માર્ગદર્શન ઉપસ્થિત અધિકારીઓને આપ્યું હતું.
આ બેઠકમાં ભાવનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ.એ. ગાંધી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જીલોવા, નગરપાલિકા નિયામક શ્રી અજય દહિયા, પ્રાંત અધિકારીશ્રી પુષ્પલત્તા, અધિક નિવાસી કલેકટર શ્રી બી.જે. પટેલ, જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments