ભાવનગરમાં એનિમલ હેલ્પ લાઈનના દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના દ્વારા અત્યાર સુધી કુલ ૧,૭૩,૩૨૭ અબોલ જીવોની સારવાર કરવામાં આવી
રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના આરોગ્યની સારવાર માટે ૧૦૮ ની સેવા જીવન બચાવનાર સાબિત થઇ છે. તેવી જ રીતે અબોલ પશુ-પંખીઓ માટે પણ આ સરકાર સંવેદનશીલ છે અને તે માટે જ ૨ વર્ષ પહેલાં ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને થોડા સમય પહેલાં ૧૦ ગામ દીઠ એક પશુ એમ્બ્યુલન્સની સેવા ગ્રામ્ય વિસ્તારમાં શરૂ કરવામાં આવી છે.
આ સેવા સમગ્ર રાજ્યના પશુપાલકો માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થઇ છે. તે જ રીતે ભાવનગર જિલ્લામાં આ સેવાનો લોકોએ ખૂબ મોટો લાભ લીધો છે.
તાજેતરમાં ભાવનગરના ડોળિયા ગામના ખેડૂત અને પશુપાલક હરીભાઇ દ્વારા ૧૯૬૨ ની સેવા વિશે સાંભળીને તેમના બળદને શીંગળાના દૂખાવા (જેને કંબોળી તરીકે ઓળખવામાં આવે છે) નો કેસ નોંધાવવામાં આવ્યો હતો.
આ કંબોળીમાં શીંગડામાં ધીમે-ધીમે સડો વધતો જાય છે. અને આ સડો મગજ સુધી પહોંચતાં પશુનું મૃત્યુ થાય છે. આ દરમિયાન પશુને ખૂબ પીડા સહન કરવી પડે છે. જો ઓપરેશન કરીને શીંગડુ દૂર કરવામાં આવે તો પશુ બચી જાય છે.
પરંતુ પ્રશ્ન ત્યાં જ ઉભો થાય છે. ઓપરેશન માટે ગામમાં પશુ દવાખાનું તો હોવું જોઇએ ને… અને જો હોય તો ગામથી દૂર હોય જ્યાં પશુને લઇ જવું પશુપાલક માટે શક્ય ન હોય કે આર્થિક રીતે પરવડે તેવું ન હોય તેવાં સમયે ૧૯૬૨ ની પશુ એમ્બ્યુલન્સ સેવા ખૂબ જ ઉપકારક બની રહે છે.
હરીભાઇના કોલનો ત્વરિત પ્રતિસાદ આપતાં ભાવનગરના પશુ ચિકિત્સક ડો. સોનાલી નાટકર અને ડો. વિષ્ણુ યાદવ તેમજ તેમના સાથી પાયલોટ કમ ડ્રેસર ગુણાભાઈ લાખણોતરા અને સંજય કારીયા આ કેસના ઓપરેશનમાં જોડાયાં હતાં.
મહત્વપૂર્વ વાત એ હતી કે, આ ઓપરેશન એક મહિલા પશુ ચિકિત્સકે કર્યું હતું. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સ્ત્રી આવી રીતે લોહી નિંગળતી હાલતમાં કોઇને જોઇ શકતી નથી. પરંતુ ડો. સોનાલીએ કોઇ પણ પ્રકારના ખચકાટ વગર આ ઓપરેશન કરીને મહિલા સશક્તિકરણની નવી રાહ ચિંધી હતી.
આ રીતે શહેરી વિસ્તારના માર્ચ મહિનામાં કુલ ૬૨૬ અબોલ જીવોની સારવાર કરવામાં આવી છે. તેમજ અત્યાર સુધી કુલ ૧૭,૦૪૭ અબોલ જીવોની સારવાર કરવામાં આવી છે.
ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા ચાલતાં અને જી.વી.કે. ઈ.એમ.આર.આઇ. દ્વારા સંચાલિત ૧૯૬૨ એનિમલ હેલ્પ લાઈનના દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના દ્વારા માર્ચ મહિનામાં કુલ ૯,૩૮૧ અબોલ જીવોની સારવાર કરવામાં આવી છે. તેમજ અત્યાર સુધી કુલ ૧,૭૩,૩૨૭ અબોલ જીવોની સારવાર કરવામાં આવી છે.
આ રીતે રાજ્ય સરકાર દ્વારા પશુઓના મફત ઓપરેશન કરી આપવામાં આવે છે. આ ઉપરાંત દવાઓ પણ મફતમાં આપવામાં આવે છે. બળદના માલિક હરીભાઇએ તેમના બળદનો જીવ બચાવવાં બદલ પશુ ચિકિત્સક અને પશુપાલન વિભાગ અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.
આમ, ૧૦ ગામ દિઠ ફરતાં પશુ દવાખાના દ્વારા સફળ ઓપરેશન કરી બળદનો જીવ બચાવવામાં આવ્યો હતો. તેમના દ્વારા કરવામાં આવેલી સારી કામગીરી બદલ જિલ્લા પ્રોગ્રામ મેનેજર શ્રી ડો. જતિન સંચાણીયા તેમજ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરશ્રી અમાનતઅલી નકવી દ્વારા ડો. સોનાલી અને તેમની ટીમને બિરદાવવામાં આવી હતી.
આમ, અનેક પશુ- પક્ષીઓ માટે આશીર્વાદરૂપ બની રહેલ ૧૯૬૨ ની એનિમલ હેલ્પ લાઇનનો ટોલ ફ્રી નંબર અનેક અબોલ પશુઓના જીવ બચાવવામાં મદદરૂપ બન્યો છે.
Recent Comments