ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ભાવનગર દ્વારા નોંધાયેલ બાંધકામ શ્રમયોગીઓ રાજ્ય સરકારની ૧૪ થી વધુ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી શકે છે
રાજ્ય સરકાર દ્વારા નાના માણસો માટેની અનેકવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓનો લાભ મેળવીને આ શ્રમિક અને કારીગર વર્ગ પોતાના સાથે પોતાના પરિવારનું કલ્યાણ કરી શકે છે.
પોતાના વ્યવસાય માટે સહાયભૂત થવાના સાધનથી માંડીને નોંધાયેલ શ્રમિકની અંત્યેષ્ઠી સુધીના સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.
ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ભાવનગર દ્વારા નોંધાયેલ બાંધકામ શ્રમયોગીઓ ૧૪ થી વધુ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી શકે છે. જો કે આ લાભ મેળવવાં માટે ઇ- નિર્માણ કાર્ડ કઢાવવું જરૂરી છે.
આ માટેની વધુ માહિતી માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ-ભાવનગરની કચેરી, દેસાઈ નગર પેટ્રોલની સામે, ગુરુકૃપા ટ્રેક્ટર શો રૂમ પાછળ, ભાવનગરનો સંપર્ક કરી શકાશે.
આ કાર્ડ કઢાવવાં માટે ૧૮ થી ૬૦ વર્ષની ઉંમર હોય તેવાં લોકો તેમાં નોંધણી કરાવી શકે છે. આ માટે બાંધકામ ક્ષેત્રમાં ૯૦ દિવસથી વધુ સમયની કામગીરી કરેલી હોવી જરૂરી છે.
આ નોંધણી કરાવવાં માટે આધાર કાર્ડ, ઉંમરનો પુરાવો, બાંધકામ ક્ષેત્રમાં ૯૦ દિવસથી વધુની કામગીરી અંગેનું પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગત અને રેશન કાર્ડ વગેરે યોજનાકીય લાભ સરળતાથી મેળવવા માટે જરૂરી છે, નિયત નમૂનામાં આવક તેમજ વ્યવસાયનું સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર પણ જરૂરી છે.
ઈ-નિર્માણ કાર્ડ કઢાવવા માટે અરજદારોએ નજીકના CSC સેન્ટર અને E-Gram સેન્ટરનો સંપર્ક કરવો અથવા તો આ માટે પોર્ટલ https://egram.gujarat.gov.in પર લોગીન થવું જરૂરી છે. ત્યારબાદ સેવાનો વિકલ્પ પસંદ કરવો અને તે અંતર્ગત બોર્ડના લોગો પર જવું, આ પ્રક્રિયા બાદ તમે https://enirmanbocw.gujarat.gov.in પર રી- ડિરેક્ટ થઇ શકશો. તેમાં સૌ પ્રથમ બાંધકામ શ્રમિકનું લોગીન આઇ.ડી. અને પાસવર્ડ બનાવવા માટે શ્રમિકનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ શ્રમિકની વ્યક્તિગત બાબતો તથા દસ્તાવેજો નોંધણી માટેના નિયમો અને શરતોના પેજમાં વિગતો દાખલ કરવાની રહેશે. અરજી પૂર્ણ થયેથી શ્રમિકના આઇ.ડી. માંથી લોગઆઉટ કરવું. ત્યાં વી.સી.ઇ. ના ઇ-નિર્માણના લોગીનમાં ઇ-ગ્રામના ટેબ પર ક્લીક કરવું. ત્યાં વી.સી.ઇ. દ્વારા કરવામાં આવેલ તમામ નોંધણીની એન્ટ્રીઓ દર્શાવેલ હશે. તે અંતર્ગત બાંધકામ શ્રમિકનું ઇ-નિર્માણ કાર્ડ જનરેટ કરવાં માટે શ્રમિકના નામ પછીના જનરેટ આઇ.ડી. કોલમ પર ક્લીક કરવું. સીસ્ટમ ૩ વર્ષનો સમયગાળો દર્શાવશે. જેમાં ઓ.કે. આપવું અને ત્યારબાદ શ્રમિકના નામ પછીના પ્રિન્ટ આઇ- કાર્ડ કોલમમાંથી આઇ- કાર્ડની પ્રિન્ટ કાઢી અને લેમીનેટ કરી બાંધકામ શ્રમિકને સોંપવામાં આવશે.
કોણ નોંધણી કરાવી શકશેઃ-
કડીયા, કુંભાર, પ્લમ્બર, વાયરમેન, વેલ્ડર, ધાબા ભરવાનું કાર્ય કરનાર, ચૂનો લગાવવાનું કાર્ય કરનાર, સ્ટોન, ક્રસિંગ એન્ડ કટિંગનું કાર્ય કરનાર, ટાઇલ્સ અને સ્લેબના કટીંગ અને પોલીસીંગનું કાર્ય કરનાર, ઇલેક્ટ્રિશિયન, ગટરનું કાર્ય કરનાર, લુહાર, ઇન્ટિરીયર વર્ક કરનાર, વોટર હાર્વેસ્ટીંગનું કાર્ય કરનાર શ્રમિકો આ માટેની નોંધણી કરાવી શકશે.
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણીના લાભ અને આયોજનઃ-
શ્રમિક અન્નપૂર્ણા યોજનાઃ- નોંધાયેલાં બાંધકામ શ્રમિકોને માત્ર રૂા. ૧૦/- માં સાત્વિક ભોજન. વર્ષ ૨૦૨૨-૨૩ થી શ્રમિક ફાળો રૂા. ૧૦/- થી ઘટાડી રૂા. ૫/- કરવાનું આયોજન છે.
શિક્ષણ સહાયઃ- એક વર્ષમાં બાંધકામ શ્રમિકના બે બાળકોને ધો-૧ થી ધો-૧૨ તથા પી.એચડી. સુધીના ઉચ્ચ અભ્યાસ માટે રૂા. ૫૦૦/- થી રૂા. ૪૦,૦૦૦/- સુધીની સહાય. આ સહાયની રકમ રૂા. ૧,૮૦૦/- થી રૂા. ૨ લાખ સુધી કરવાનું આયોજન છે.
પ્રસૂતિ સહાય યોજનાઃ- નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને રૂા. ૨૭,૦૦૦/અ અને નોંધાયેલ શ્રમિકની પત્નીને રૂા. ૫,૦૦૦/- ની પ્રસૂતિ સહાય અર્થે પ્રથમ ૨ પ્રસૂતિ પૂરતી સહાય. આ સહાયની રકમ અનુક્રમે રૂા. ૩૭,૫૦૦/- અને રૂા. ૬,૦૦૦/-કરવાનું આયોજન છે.
મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનાઃ- મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના અન્વયે બાંધકામ શ્રમિકની એક દિકરીને ૧૮ વર્ષની મુદતનો રૂા. ૧૦,૦૦૦/- નો બોન્ડ (એફ.ડી.) આપવામાં આવે છે. બોન્ડની રકમમાં વધારો કરી રૂા. ૨૫,૦૦૦/- કરવાનું આયોજન છે.
મેડિકલ હેલ્થ યુનિટ (ધન્વન્તરી આરોગ્ય રથ) ઃ- બાંધકામ શ્રમિકોને વિવિધ બાંધકામ સાઇટો, કડીયા નાકાઓ, બાંધકામ સાઇટની શ્રમિક વસાહતો પર વિના મૂલ્યે પ્રાથમિક તબીબી સારવાર, લેબોરેટરી ટેસ્ટ અને દવા પૂરી પાડવામાં આવે છે. હાલ ૩૧ જિલ્લાઓમાં ૫૪ રથ કાર્યરત છે અને ૩૩ જિલ્લાઓમાં ૧૫૪ રથ કાર્યરત કરવાનું આયોજન છે.
વ્યવસાયિક રોગોમાં સહાયઃ- આ યોજના અંતર્ગત બાંધકામ શ્રમયોગીઓને થતાં ૧૫ પ્રકારના રોગો તથા ૨૩ પ્રકારની ગંભીર ઇજાઓમાં આર્થિક સહાય માટે મહત્તમ રૂા. ૩ લાખની મર્યાદામાં માસિક રૂા. ૧,૫૦૦/- થી રૂા. ૩,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.
આકસ્મિક મૃત્યુ સહાય યોજનાઃ-આ યોજના અંતર્ગત નોંધાયેલ કે ન નોંધાયેલ બાંધકામ શ્રમિકનું ચાલુ કામે આકસ્મિક મૃત્યુ થાય તો તેના વારસદારને રૂા. ૩ લાખની સહાય આપવામાં આવે છે.
અંત્યેષ્ઠી સહાય યોજનાઃ- આ યોજનામાં નોંધાયેલાં શ્રમિકના મૃત્યુ બાદ અંતિમક્રિયા માટે તેના વારસદારને રૂા. ૭,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. બાંધકામ શ્રમિકની અંતિમક્રિયા માટે રૂા. ૧૦,૦૦૦/- કરવાનું આયોજન છે.
શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજનાઃ- ઇ.ડબલ્યુ.એસ./ એમ.આઇ.જી./એમ.આઇ.જી. યોજનામાં મકાન ફાળવણી થયેલ હોય તેવાં બાંધકામ શ્રમિક વતી રૂા. ૧,૬૦,૦૦૦/- ની રાજ્ય/ કેન્દ્ર સરકારની સહાય ઉપરાંતની રકમ મકાન ફાળવણી કરતાં સત્તામંડળના હવાલે મૂકવામાં આવે છે.
સ્થળાંતરિત થતાં બાંધકામ શ્રમિકોના બાળકો માટેની હોસ્ટેલઃ- પોતાના વતનથી અન્ય જિલ્લાઓમાં સ્થળાંતરિત થતાં બાંધકામ શ્રમિકોના બાળકોને સ્થાનિક શાળાઓમાં રહેવાં જમવાં સાથેની હોસ્ટેલ સુવિધા.
શ્રમિક પરિવહન યોજનાઃ- નોધાયેલાં બાંધકામ શ્રમિકને મુસાફરી માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ મારફતે પાસ પુરો પાડવાં માટે ૮૦ ટકા ખર્ચ બોર્ડ દ્વારા જે-તે મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવે છે.
હાઉસિંગ સબસીડી યોજનાઃ પોતાના મકાનની ખરીદી માટે મહત્તમરૂા. ૧૫ લાખ સુધીની લોન લીધેલ હોય તેવાં નોંધાયેલાં બાંધકામ શ્રમિકને રૂા. ૧,૦૦,૦૦૦/- ની (પાંચ વર્ષ સુધી પ્રતિ વર્ષ રૂા. ૨૦,૦૦૦/-) સહાય તેમના લોન ખાતામાં આપવામાં આવે છે. સહાયમાં વધારો કરી રૂા. ૧,૫૦,૦૦૦/- (પ્રતિ વર્ષ રૂા.૩૦,૦૦૦/-) કરવાનું આયોજન છે.
બેટરી ઓપરેટેર ટુ વ્હીલર યોજનાઃ- નોંધાયેલ બાંધકામ શ્રમિક દ્વારા બેટરી ઓપરેટેડ ટુ વ્હીલરની ખરીદી કરવાં માટે રૂા. ૩૦,૦૦૦/- અથવા ભાવના ૫૦ ટકા (જે ઓછું હોય તે) રકમ જે- તે વિક્રેતાને આપવામાં આવે છે. આ યોજના હેઠળ ત્રી-ચક્રિય વાહનનો સમાવેશ કરવાનું આયોજન છે.
આમ, ઇ- નિર્માણ કાર્ડ મેળવવાથી ભાવનગરમાં કાર્યરત અને નાના વ્યવસાય સાથે જોડાયેલ મહેનતકશ એવો શ્રમિક વર્ગ ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ની ૧૪ થી વધુ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી શકે છે.
Recent Comments