કોરોનામાં યશસ્વી કામગીરી કરનાર તાલુકા હેલ્થ ઓફિસર ડો.મનસ્વિની માલવિયાનો ભવ્ય વિદાય સન્માન સમારંભ યોજાયો
રંઘોળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પોતાના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દડવાનાં મેડિકલ ઓફિસર અને શિહોર, ઉમરાળા વલ્લભીપુર એમ ત્રણ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર તરીકે જેઓએ કોરોના કાળમાં અનન્ય સેવાઓ આપી હતી. તેવાં ડો. મનસ્વિની માલવિયાની જિલ્લા પંચાયત, ભાવનગર ખાતે ડી.ક્યુ.એમ.ઓ. ની પોસ્ટ ઉપર નિમણૂંક થતાં વિદાય સન્માન સમારંભ યોજાયો હતો.
સામાન્ય રીતે સરકારી અધિકારી આવે ને જાય એ સામાન્ય રીતે એક પરંપરા હોય છે. પરંતુ અમૂક અધિકારીઓ જ્યાં જાય ત્યાં પોતાની સેવાની સુવાસ ફેલાવીને જાય છે. તેમનાં સારાં કાર્યો તેઓ જ્યારે પોતાની જગ્યાએથી જાય ત્યારે તેમના સમાજ દ્વારા થતાં સન્માનમાં ડોકાતાં હોય છે. અને જ્યારે કોઇ અધિકારીની બદલી વખતે પણ સમગ્ર સ્ટાફ અને ગામના લોકો પણ જોડાય ત્યારે સમજવું કે તેઓએ સરકારી સેવા કરતાં કંઇક વધારે કાર્ય કર્યું છે. આવાં જ એક અધિકારી ભાવનગર જિલ્લાના તાલુકા હેલ્થ ઓફિસર મનસ્વીનીબેન માલવીયાએ છે જેમણે પોતાના કર્મોથી આ પ્રકારનો સમાજ અને સ્ટાફનો પ્રેમ મેળવ્યો છે.
સરકારી કર્મચારી માટે ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીની રચનાના શબ્દો ‘જીવન એક બંજારો કા ડેરા, આજ યહાં ફીર કહાં બસેરાં’ એકદમ બંધબેસતી છે કારણ કે, જીવન ચાલવાનું બીજું નામ છે. એ તો ચાલ્યાં જ કરશે.
પરંતુ જાણીતા પક્ષીપ્રેમી અને નિસર્ગના કવિશ્રી મીનપીયાસીની એક રચના કબૂતરોનું ઘુ…ઘુ…ઘુ…. વાળી વાત છે. કે કોઇ દિવસ કોઇનું આંસુ લૂછ્યું તું….તું…., એટલે કે, જો તમે તમારી ફરજ ઉપરાંત કોઇનું આંસુ લૂછ્યું હોય તો જ લોકોનો સ્નેહ, પ્રેમ અને લાગણી મળતી હોય છે.
જેમાં તેઓ પ્રત્યેનો કર્મચારીઓનો પ્રેમ ઉડીને આંખે વળગતો હતો. આ સાથે ગામના લોકો પણ તેમના વિદાય સમારંભમાં મોટી સંખ્યામાં જોડાયાં હતાં. જે તેમના માટેનો ભાવનો ધ્યોતક સમાન હતું. કારણ કે, જન્મ-મરણના ફેરાની જેમ બદલી તે સનાતન સત્ય છે પરંતુ તેમાં ગામ આખું સહભાગી થાય તે તમારા કામની કદર છે. તમારાં કામનું મૂલ્યાંકન છે.
ડો. મનસ્વિની માલવિયાએ પોતાની આગવી કાર્યશૈલીથી દરેક કર્મચારીઓના દિલ જીતી લીધાં હતાં. આનો પડઘો આજના કાર્યક્રમમાં કર્મચારીઓના ભાવોર્મિમાં વ્યક્ત થતો હતો.
કાર્યક્રમના મુખ્ય અતિથિ એવાં વિભાગીય નાયબ નિયામક શ્રી ડો. મનીષકુમાર ફેન્સીએ પ્રસંગોચિત પ્રતિભાવ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, કામ કરીને અને તેઓ પાસે કરાવીને પણ કર્મચારીઓના દિલમાં કઈ રીતે રહી શકાય એ ડો. મનસ્વિનીબેન માલવિયા પાસેથી શીખવાં જેવું છે.
આ વિદાય સન્માનએ એમનાં શ્રેષ્ઠ અઘિકારી તેમજ માનવીય સંબંધોનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે. તાવિયાડે પણ ડો. મનસ્વિનીબેન હોય ત્યાં મારે ચિંતા ક્યારેય ચિંતા કરવી પડી નથી. તેમણે હંમેશા મારી સાથે સૂમેળપૂર્વક ભખેભખો મિલાવીને કાર્ય કર્યું છે. એક રીતે કહીએ તો પોતાનો ડાબો હાથ એટલે ડો. મનસ્વિની માલવિયા એમ પ્રશંસા કરીને તેઓની કામગીરીને બિરદાવી હતી.
તેમના વિદાય સન્માન સમારંભના ગામના લોકો સાથે તેમના વડા એવાં વિભાગીય નાયબ નિયામકશ્રી ડો. મનીષકુમાર ફેન્સી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એે.કે. તાવિયાડ ઉપસ્થિત રહ્યાં હતાં.
ઈ.એમ.ઓ ડો. સુનિલ પટેલ, ડો. દિગ્વિજયસિંહ ગોહિલ, ડો. ધવલ દવે વગેરે ડોક્ટર તથા પેરામેડિકલ સ્ટાફ હાજર રહ્યો હતો. જેમાં ઢોલ નગારાથી, પુષ્પ અર્પણ સાથે ફટાકડાં ફોડીને તેમજ ગુજરાતી ગરબા ગાઇને પોતાનો હરખ વ્યક્ત કર્યો હતો. આ ગરબામાં ડો. મનસ્વિની માલવિયા પણ જોડાયાં હતાં.
કાર્યક્રમના અંત ચરણમાં સૌએ કાયમી સંભારણાની યાદગીરી રૂપે સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી. આ અવસરે સમૂહ સ્મૃતિ માટે ફોટો સેશન પણ કરવામાં આવ્યું હતું.
સમારંભના પ્રારંભિક ચરણમાં શ્રી અનિલ પંડિત દ્વારા મહાનુભાવનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનો દોર નિલકંઠ પંડ્યાએ સંભાળેલ આ સાથે ડો. જલ્પા માનીયા અને ગોપાલ ખટાણા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ડો.મનસ્વિની માલવિયાના વિદાય સમારંભમાં તેમની સાથે તેમના પરિવાર સાથે શિહોર અને ઉમરાળા એમ બંને તાલુકાનો ૨૦૦થી વધુ મેડિકલ તથા પેરા મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો
Recent Comments