બિમાર પુત્રને લઇ પિતા ૧ કિમી સુધી દોડ્યા પરંતુ કોઇ મદદ કરવા ન આવ્યું
સુરત જિલ્લાના ઉમરવાડાનો શ્રમજીવી હાથમાં બીમાર માસૂમ પુત્રને લઈ એક કિલોમીટર સુધી દોડ્યો, પણ એકેય રિક્ષાચાલકે માનવતા ન દાખવી હોવાનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ લવાયેલા ૩ વર્ષના માસૂમ બાળકને ડોક્ટરોએ મૃત જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. માસૂમ મનીષકુમાર ત્રણ દિવસથી ઝાડા-ઊલટીમાં સપડાયો હતો. સ્થાનિક ડોક્ટરની દવા લીધા બાદ આજે સવારે તબિયત બગડતાં પુત્રને હાથમાં ઊંચકીને દોડતા લાચાર પિતાને લોકો જાેતા રહ્યા, પણ કોઈ મદદે ન આવ્યું હોવાનું પિતાએ જણાવ્યું હતું.
રજત સહાની (પીડિત પિતા)એ જણાવ્યું હતું કે અમે બિહારવાસી છ વર્ષથી પરિવાર એટલે કે પત્ની અને બે પુત્રો સાથે ઉમરવાડા ગિરનાર ટ્રાન્સપોર્ટમાં રહી મજૂરી કામ કરતા આવ્યા છે. સાહેબ, દરેક લોકોની મદદમાં મેં ક્યારે કોઈને ના નથી પાડી, પણ આજે જ્યારે મને મદદની જરૂર હતી તો કોઈ આગળ નહિ આવ્યું એનું દુઃખ છે.
વધુમાં ઉમેર્યું હતું કે મારો મોટો પુત્ર ૩ વર્ષીય મનીષકુમારની આજે સવારે અચાનક તબિયત બગડતાં હું તેને લઈ હોસ્પિટલ આવવા રિક્ષાચાલકોને હાથ ઊંચો કરતો રહ્યો, પણ કોઈ ઊભી ના રહી અને જે ઊભા રહ્યા તેમને ઝાડા-ઊલટી હો રહા હૈ, મેરે માસૂમ બેટે કો હોસ્પિટલ તક છોડ દો કહેતાં જ ભાગી જતા હતા. હું કિન્નરી સુધી એક કિલોમીટર કહી શકાય ત્યાં સુધી માસૂમ બીમાર પુત્રને હાથમાં ઊંચકીને દોડતો રહ્યો, પણ કોઈને માનવતા યાદ ન આવી, લોકો જાેતા હતા પણ શું થયું એ પૂછતા પણ ગભરાતા હોય એમ લાગતું હતું.
Recent Comments