હોસ્પિટલમાં બેડ ખૂટી પડતાં શાહીબાગની સોસાયટીના ક્લબ હાઉસમાં દર્દીની ટ્રીટમેન્ટ શરૂ કરી
અમદાવાદમાં કોરોનાની જાણે સુનામી આવી હોય એમ રેકોર્ડબ્રેક દર્દીઓ રોજ વધી રહ્યા છે. આ સમયે હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધિ નથી, ત્યારે હવે લોકો ક્યાં જાય એ ખૂબ મોટો પ્રશ્ન ઊભો થયો છે. ત્યારે શાહીબાગ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટે આર્ત્મનિભર બનવા પ્રયાસ કર્યો છે, જેમાં સોસાયટીમાં આવેલા ડોક્ટર અને સભ્યો દ્વારા સોસાયટીના ક્લબ હાઉસમાં જ કોરોનાનાં બેડ ઓક્સિજન સાથે લગાવીને ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી છે. અહીં સોસાયટીમાં રહેતા લોકોને ટ્રીટમેન્ટ અપાઈ રહી છે અને નજીકમાં રહેતા ડોક્ટર રાઉન્ડ ધ ક્લોક સારવાર કરી રહ્યા છે.
અમદાવાદ તેમજ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો આંકડો સતત વધતો ગયો છે ત્યારે હોસ્પિટલો પણ ફુલ થઇ ગઇ છે, પણ અમદાવાદમાં આવેલી એક સોસાયટી શીતલ એક્વા દ્વારા તદ્દન નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સોસાયટીમાં આવેલા ક્લબ હાઉસને કોવિડ સેન્ટર તરીકે બનાવ્યું છે, જેમાં સોસાયટીમાં રહેતા રહીશોને જાે કોરોના થાય અને જાે હોસ્પિટલમાં બેડ ના મળે તો ત્યાં સુધી તેને સોસાયટીમાં બનાવેલા કોવિડ સેન્ટરમાં ફ્રીમાં સારવાર આપવામાં આવશે, સાથે સાથે સોસાયટીમાં રહેતા ડોક્ટરો પણ કોવિડ સેન્ટરમાં મદદ કરી રહ્યા છે.
શીતલ એક્વા સોસાયટીના કોવિડ સેન્ટરમાં દર્દીનું ઓક્સિજન લેવલ ઓછું હોય તો એ માટે ઓક્સિજન મળી રહે એ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથે સફાઈકર્મચારીઓ અને નર્સની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. રાતના સમયે આ પ્રકારનો બનાવ બને અને સોસાયટીમાં બનાવેલા કોવિડ સેન્ટરમાં સારવાર મળી રહે એ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
શાહીબાગના શીતલ એક્વામાં આ પ્રકારે સેન્ટર ઊભું કરાયું છે, જે અંગે બિલ્ડર જ્યેન્દ્ર પંડિતે જણાવ્યું છે કે અમે હાલ બે બેડ સાથે વ્યવસ્થા શર કરી છે, જેમાં ઓક્સિજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલમાં બેડ ન મળતાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
Recent Comments