ત્રીજી લહેર માટે ચેતવણી અપાઈ પણ, બીજી લહેરમાં જ સુરતમાં ૧૬૭૫ બાળકો સંક્રમિત
કોરોનાના નામ માત્રથી લોકો ફફડી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરાઈ છે. નિષ્ણાત દ્વારા કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ વધવાની ચેતવણી અપાઈ છે.
મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ તથા દિલ્હી જેવા રાજ્યોમાં બાળકોમાં કોરોનાનો ચેપ ચિંતાજનક રીતે વધી રહ્યો છે.
બાળકોમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈ બાળ આયોગ દ્વારા પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે કોરોનાની બીજી લહેરમાં છેલ્લા ત્રણ માસ દરમિયાન સુરત શહેરમાં ફક્ત ૧૦ વર્ષ સુધીના ૧૬૭૫ બાળકો ચેપગ્રસ્ત થઈ ચૂક્યાં છે. જ્યારે ગત વર્ષે એપ્રિલથી ડિસેમ્બર માસ દરમિયાન ફક્ત ૫૬૪ બાળકોમાં કોરોનાનું સંક્રમણ દેખાયું હતું. બાળકોને કોરોના વાઈરસથી સુરક્ષિત રાખવા માટે માતા-પિતાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોવાનું તબીબોનું કહેવું છે.
દેશમાં ૬૦થી ૭૦ ટકા લોકોને કોરોનાનું નેચરલ ઇન્ફેકશન લાગી ચૂક્યું છે. જ્યારે મોટી ઉંમરના અને હાલ ૧૮ વર્ષથી વધુ વયના લોકો માટે વેક્સિનેશન ડ્રાઈવ ચાલી રહી છે. જેને લીધે એકમાંથી બીજા વ્યક્તિને ચેપ લાગવાનું જાેખમ ઘટી જાય છે.
ઘણા કેસમાં પરિવારમાં કોઈને ચેપ લાગ્યો હોય તે ઘરના બાળકોને પણ લક્ષણ વગરના કે સામાન્ય લક્ષણા સાથે કોરોના થયો હશે. ઘણા બાળકો એવા પણ હશે જે ઘરોમાંથી બહાર નીકળ્યા નથી, ત્યારે આ બાળકો જ્યારે બહાર નીકળશે તે સમયે તેમને કોરોનાની ત્રીજી લહેર દરમિયાન સંક્રમિત થવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. જેની કાળજી માતા-પિતાએ લેવાની જરૃર છે.
કોરોના સંક્રમિત મોટી ઉંમરના દર્દીની સારવારમાં ફિઝિશિયન, ચેસ્ટ ફિઝિશિયન, એનેસ્થેટિસ્ટ, મેડિકલ ઓફિસર કે અન્ય બ્રાન્ચના ડોક્ટર કરી શકે છે. પરંતુ બાળકોના કેસમાં આવું નથી. બાળકોની સારવારમાં પીડિયાટ્રીશિયનની જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. આમ તો ૮થી ૧૦ ટકા બાળકોને જ કોરોનાની ગંભીર અસર દેખાય છે.
જ્યારે ૮૦થી ૯૦ ટકા બાળકોને સામાન્ય લક્ષણ હોય છે. પરંતુ તેની સમયસર સારવાર નહીં કરાય તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે. શહેરમાં ૩૦૦ અને જિલ્લામાં ૧૦૦ મળી ફક્ત ૪૦૦ જેટલા પીડિયાટ્રીશિયન છે. જે સુરત શહેર-જિલ્લાના બાળકોની વસ્તીની દૃષ્ટિએ ખૂબ ઓછા છે.
એક સમયે પુખ્તોની સારવાર માટેના વેન્ટિલેટર સરળતાથી મળી રહે છે. પરંતુ બાળકોની સારવાર માટેના વેન્ટિલેટર મેળવવા મુશ્કેલ બની શકે છે. શહેરભરની હોસ્પિટલોમાં બાળકો માટેના વેન્ટિલેટરની સંખ્યા માંડ ૧૦૦ની આસપાસ છે અને આ વેન્ટિલેટર મોટાભાગે બાળકોની હોસ્પિટલમાં જ હોવાનું તબીબી સૂત્રોનું કહેવું છે. આ ઉપરાંત બાળકોની સારવાર માટે પીડિયાટ્રીશિયની જેમ મેન પાવરની પણ અછત પડી શકે છે. બાળકોની સારવાર સંબંધિત સ્ટાફ પણ અલગ હોય છે.
કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાને પગલે રાજ્ય સરકારે સિવિલ-સ્મીમેર તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી છે. સરકારના આદેશ મુજબ સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ હોસ્પિટલ (સ્ટેમસેલ) બિલ્ડિંગમાં બાળકો માટે ૧૦૦ બેડની અલાયદી વ્યવસ્થા કરવા તૈયારી શરૂ કરાઈ છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલ ખાતે પણ કોરોનીની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી બાળકો માટે એક અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
સ્મીમેર તંત્ર દ્વારા પ્રાઈવેટ પ્રેક્ટિસ કરતા પીડિયાટ્રીશિયન્સ પાસે જરૂર પડે તો સારવારમાં મદદ કરવા માટે અપીલ કરાઈ છે.
Recent Comments