નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો, આગામી ૨ વર્ષ સુધી નહીં રહે પાણીની તંગી
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના નીરની સપાટી ઉપરવાસથી પાણીની આવક વધતાં ઉંચી આવી છે. હાલ નર્મદાની સપાટી ૧૨૫ મીટરને પાર કરતાં આગામી સમયમાં બે વર્ષ માટે પાણીની સમસ્યા નિવારી શકાશે.
ગુજરાતમાં નર્મદા યોજના પાણીની સમસ્યા નિવારવામાં આગામી સમયમાં લાભદાયી પુરવાર થઇ શકે છે. નર્મદાડેમમાં આજની સ્થિતિએ ૨૧૨૪ મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત થયેલો છે. જળસપાટીની દ્રષ્ટિએ જાેતાં નર્મદાની સપાટી ૧૨૫ મીટરે પહોંચી છે. ઉપરવાસથી પાણીનો પ્રવાહ ગુજરાતને સતત મળતો રહેતાં આ વર્ષે ગુજરાતને પાણીની કોઇ સમસ્યા રહેશે નહીં.
હાલ દૈનિક ૧૦ હજાર ક્યુસેક પાણીનો જથ્થો નર્મદામાંથી ખેડૂતોને આપવામાં આવે છે. છતાં આજની સ્થિતિએ ૨ હજાર ૧૨૪ મિલિયન ક્યુબીકમીટર જથ્થો સંગ્રહિત રહેતાં ખેડૂતોને પણ પૂરતો પાણીનો જથ્થો મળી રહેશે. ચોમાસાની વાત કરીએ તો ચોમાસુ પણ સારૂં રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
ગુજરાતમાં સરેરાશ ૩૪ ઇંચની જરૂરિયાત મુજબ થાય તો ચોમાસુ લાભદાયી પુરવાર થઇ શકે છે. બીજીબાજુ નર્મદા ડેમમાં પણ પૂરતો જથ્થો સંગ્રહિત હોવાથી આગામી બે વર્ષ માટે પાણીની સમસ્યા રહે નહીં તે મુજબનું આયોજન થશે , જે ગુજરાત માટે લાભદાયી પુરવાર થશે.
Recent Comments