વડોદરાના બરાનપુરા પાસેથી કચરા પેટીમાંથી નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા ચકચાર
વડોદરા શહેરના બરાનપુરા જી.ઈ.બી. ઓફીસ પાસેની કચરા પેટીમાંથી આજે વહેલી સવારે એક નવજાત શીશુ મૃત હાલતમાં મળી આવ્યુ હતુ. કચરા પેટીથી થોડેક દૂર આવેલી ચાની લારીવાળાએ નોંધાવેલી ફરીયાદના આધારે વાડી પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.પોલીસે સીસીટીવી ફુટેજ ચેક કરતાં મળસ્કે સાડા ચાર વાગે ટુ વ્હિલર લઈને એક શખસ કચરા પેટી પાસે આવે છે રસ્તા ઉપરથી એક કાગળ ઉંચકીને કાંઈક વસ્તુ કાગળમાં લપેટીને કચરા પેટીમાં ફેંકતો દેખાય છે પોલીસે આ શખસની શોધખોળ શરુ કરી છે.
વારસીયા રીંગ રોડની ગાયત્રી નગર સોસાયટીમાં રહેતો નવીન ચીમનભાઈ માછી બરાનપુરા જી.ઈ.બી. ઓફીસ પાસે સાંઈનાથ સેન્ટર નામથી ચાની લારી ચલાવે છે. મંગળવારે વહેલી સવારે ૦૬ વાગે લારી ખોલી હતી. ૬.૩૦ વાગ્યાના અરસામાં જી.ઈ.બી. ઓફીસ પાસેની કચરા પેટી નજીક લોકોનું ટોળુ ભેગુ થયુ હતુ. કચરા પેટીમાં નવજાત શીશુ પડયુ હતુ. ૧૦૮ને ફોન કરતાં મેડીકલ સ્ટાફે શીશુને મૃત જાહેર કર્યુ હતુ. પોતાનુ પાપ છુપાવવા માટે નવજાત શીશુને કચરા પેટીમાં ત્યજી દેનાર માતા સામે વાડી પોલીસે આઈ.પી.સી. ૩૧૮ પ્રમાણે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
બરાનપુરા કચરા પેટીમાંથી મળેલા નવજાત શીશુના કેસમાં પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધ્યો છે પરંતુ મેડીકલ તપાસમાં આ ભ્રુણ મનુષ્યનું નહીં પરંતુ વાંદરાનું હોવાનું જણાતા વેટરનરી ડૉકટરની મદદ લેવાઈ છે. બરાનપુરા સંત કબીર રોડ પરથી એક સપ્તાહ પહેલા પણ નવજાત શીશુનો મૃતદેહ મળ્યો હતો. પરંતુ આ કિસ્સામાં પણ પોલીસને કોઈ કડી મળી નથી.
Recent Comments