રાજ્યભરની તમામ શાળાઓના વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરાશે
ગાંધીનગરમાં મળેલી રાજ્યકક્ષાની સ્ટીયરીંગ કમિટીની બેઠકમાં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજયભરની તમામ શાળાઓના વિદ્યાર્થીઓના ૧૮ વર્ષ સુધીના દોઢ કરોડથી વધુ વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.આ ચકાસણી દરમ્યાન ગંભીર બિમારી ધરાવતાં વિદ્યાર્થીઓને લાખો રૂપિયાની વિનામૂલ્યે સારવાર રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવશે. જેની વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત ૧૮ વર્ષની ઉમરના શાળાએ જતા અને ન જતા વિદ્યાર્થીઓને આવરી લેવાતા હતા. આ વર્ષે ૧૮ વર્ષની ઉમરના કોઈપણ ક્ષેત્રે અભ્યાસ કરતા એટલે કે, આઇ.ટી.આઇ., કોલેજ, ડીગ્રી-ડીપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ આવરી લેઇને વિનામૂલ્યે સારવાર આપવાનો રાજ્ય સરકારે ર્નિણય કર્યો છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને બોલવામાં અને સાંભળવામાં તકલીફ હોય તેવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે કોકલીયર ઇમ્પ્લાન્ટ પુરા પાડવામાં આવે છે. આ કોકલીયર ઈમ્પ્લાન્ટનું કોઈ સાધન તુટી જાય, ખોવાઈ જાય કે ચોરાઇ જાય તો તેવા કિસ્સામાં દર્દીને સહાયરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા પચાસ ટકા સહાય આપવાનો પણ ર્નિણય કરાયો છે.
તેમણે ઉમેર્યુ કે, જે વિદ્યાર્થીઓને કિડની, હ્રદય, કેન્સર જેવા ગંભીર રોગોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય તેમને પણ રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે સારવાર પુરી પાડવામાં આવે છે. જે અંતર્ગત કેટલાક ગંભીર રોગોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું થાય તે અંગેનું નિદાન ૧૮ વર્ષ પહેલા થઇ ગયુ હોય પરંતુ ટ્રાન્સપ્લાન્ટ અંગેનું ઓર્ગન ૧૮ વર્ષ બાદ મળે તો પણ આવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સારવાર આપવાનો પણ રાજ્ય સરકારે ર્નિણય કર્યો છે તે મુજબ રાજ્ય સરકાર દ્વારા સારવાર પણ પુરી પડાશે.
Recent Comments