વેપારીને પ્રોફિટની લાલચ આપી પિતા-પુત્રની ત્રિપુટીએ ૧.૨૫ કરોડની છેતરપિંડી આચરી
વડોદરા શહેરના કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં આવેલ નંદલાલ જ્વેલર્સના પિતા, પુત્રની ત્રિપુટીએ વેપારીને પ્રોફિટની લાલચ આપી સોનાના દાગીના બનાવવા માટેના મશીનોની ખરીદી માટે રૂપિયા ૧.૨૫ કરોડ પડાવી છેતરપિંડી કરી હોવાનો બનાવ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયો છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા રાજકુમાર જૈન અલગ અલગ કંપનીઓમાં કેટરિંગનું કામ તથા લેબર સપ્લાયરનું કામ કરે છે. વર્ષ ૨૦૧૦ દરમિયાન કારેલીબાગ વિસ્તારના આમ્રપાલી કોમ્પ્લેક્સ માં આવેલા નંદલાલ જ્વેલર્સ ખાતે દાગીનાની ખરીદી વખતે નંદલાલ સોની તથા તેઓ ના દીકરા નિલેશ સોની અને નિમેષ સોની સાથે પરિચય થયો હતો. વર્ષ ૨૦૧૩ દરમિયાન પિતા-પુત્રની ત્રિપુટીએ જણાવ્યું હતું કે, અમારે ધંધો સારો ચાલે છે સોનાના દાગીના બનાવવા માટે મશીન લાવવાના છે. તમે ધંધામાં રોકાણ કરશો તો સારો પ્રોફિટ આપીશું તેવી લાલચ આપી હતી. જેથી રાજકુમાર જૈને ટુકડે ટુકડે ૮૫ લાખ રોકડા તેમજ ૪૦ લાખના ચેક આપ્યા હતા.
કુલ ૧.૨૫ કરોડ નંદલાલ જ્વેલર્સ નામની પેઢીના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યાં હતાં. જે અંગે પિતા-પુત્રની ત્રિપુટીએ પેઢીના લેટરપેડ ઉપર ૧.૨૫ કરોડ સ્વિકાર્યા હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ કોઈ લાભ ન મળતાં રકમ પરત માંગી હતી. ત્યારબાદ પિતા-પુત્રના મોબાઈલ નંબર બંધ થઈ જતા અને દુકાને તાળા વાગી જતા પોતે છેતરાયા હોવાની વિગતો સપાટી પર આવી હતી. ફરિયાદના આધારે પોલીસે નિમેષ નંદલાલ સોની ,નિલેશ નંદલાલ સોની અને નંદલાલ લાલજી ભાઈ સોની (રહે – પોલીસની ફરિયાદમાં માત્ર દુકાનનું સરનામું છે ) વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.
Recent Comments