સુરતમાં ૬ હજાર કરોડના નુકશાનની રાવ, સુરતમાં કોરોનાના ડરથી અન્ય રાજ્યના વેપારીની ખરીદી ઘટી
કોરોના સંક્રમણને કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કોરોના ગાઇડલાઇન અમલમાં મૂકવામાં આવી છે. જે તે રાજ્યોમાં લોકો વધુ સંખ્યામાં એકત્રીત ન થાય તેના માટે ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. લગ્નસરામાં ગુજરાતમાં પણ ૧૫૦ તો કેટલાક રાજ્યમાં માત્ર ૧૦૦ લોકોને જ એકત્રિત થવા માટે સુચના આપવામાં આવી છે. આવી સ્થિતી ઉભી થતા લગ્નસરા માટેની જે ખરીદી નીકળી હતી. તે લગભગ બંધ થઇ ગઇ છે. લગ્નસરામાં સુરત શહેરમાંથી અન્ય રાજ્યોમાં ટેક્સટાઈલ માર્કેટમાંથી રોજની ૩૫૦ જેટલી ટ્રકો રવાના થતી હતી. તેને બદલે હવે માત્ર ૧૦૦ જેટલી જ ટકો જઈ રહી છે. જેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, ટેક્સટાઇલ ઉદ્યોગને રોજના ૧૦૦થી ૧૫૦ કરોડ જેટલું નુકસાન થઈ રહ્યું છે. કોરોના સંક્રમણની હાલની સ્થિતિ જાેતા હવે ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવુ પ્રોડક્શન લગભગ બંધ કરી દેવામાં આવ્યું છે. કપડામાં જે વેલ્યુ એડીશન કરવામાં આવ્યું હતું. તે પણ હાલ બંધ છે. હાલ જે સ્ટોક છે.
તેને પૂર્ણ કરવાની મથામણ શરૂ થઇ છે. જીએસટી વધારાના કારણે વેપારીઓ પહેલાથી જ મૂંઝવણમાં હતા અને હવે સ્થિતિ એવી છે કે, નવું ઉત્પાદન કરવું એ નુકસાનકારક બની શકે છે. જેને ધ્યાનમાં રાખીને ટેક્સટાઈલના વેપારીઓ કોઈપણ પ્રકારનું નવું પ્રોડક્શન વધુ ન કરવા માટેનો અભિગમ અપનાવી રહ્યા છે. કોરોના સંક્રમણની ત્રીજી લહેર કેટલી લાંબી ચાલશે તેનો હાલ કોઇ અંદાજ નથી. સુરત ફેડરેશન ઓફ ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રવક્તા રંગનાથ શારદાએ જણાવ્યું કે, ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં જે પ્રકારે કોરોના વિસ્ફોટ થયો છે. તેના કારણે ઉદ્યોગોને નુકસાન થવાનું શરૂ થયું છે. પહેલા સવારે ૧૦ વાગ્યે અમે માર્કેટમાં પહોંચી જતા હતા. પરંતુ, હવે ૧૨ વાગ્યે માર્કેટ પહોંચીએ છીએ. સાંજે ૬ વાગે પરત ફરી જઈએ છે. કોરોના સંક્રમણ હોવાને કારણે વેપારીઓ સુરતમાં આવતા જ નથી. માટે દુકાનમાં બેસી રહેવાનો કોઈ અર્થ રહેતો નથી. લગ્નસરાની સિઝનને ખૂબ જ મોટી અસર થઈ છે.અંદાજે ૬ હજાર કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં હાલ એક સાંધે ને તેર તૂટે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
તમામ મિલોમાં નવું પ્રોડક્શન નહિવત કરી દેવામાં આવ્યું છે. સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ ફરી એક વખત કોરોનાના ગ્રહણથી સંક્રમિત થયો છે. સુરતમાં કોરોના વિસ્ફોટ થતાંની સાથે જ વેપાર ધંધા ઉપર તેની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. અન્ય રાજયોમાંથી જે લોકો વેપાર ઉદ્યોગ માટે સુરત આવતા હતા. તેઓ હવે આવવાનું ટાળી રહ્યા છે. વિશેષ કરીને ટેક્સટાઈલ ઉદ્યોગમાં અન્ય રાજ્યના વેપારીઓની સંખ્યા સુરતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે. લગ્નસરાની સિઝનમાં પશ્ચિમ બંગાળ સહિતના અલગ અલગ રાજ્યોના વેપારીઓ અહીં ખરીદી કરવા માટે આવે છે. જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાની અંદર વેપારીઓ હેવી લગ્નમાં પહેરી શકાય તેવા કપડાના ઓર્ડર આપતા હોય છે. પરંતુ હાલ કોરોના સંક્રમણને કારણે મોટાભાગના ઓર્ડર કેન્સલ થઈ રહ્યા છે.
Recent Comments