ખેડામાં બાઈકે રિક્ષાને ટક્કર મારતાં રિક્ષા પલટી થતાં રિક્ષાચાલકનું મોત
મૂળ આણંદના સોજિત્રાના અને હાલ અમદાવાદના ઘોડાસર ખાતે રહેતા ૫૬ વર્ષીય જયેશભાઇ બાબુભાઈ ઉપાધ્યાય પોતે રિક્ષા ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ ૯મી માર્ચના રોજ પોતાના મૂળ વતન સોજીત્રા મુકામે આવ્યા હતા. જયેશભાઈ પોતાની માતાને મૂકી બીજા દિવસે પરત અમદાવાદ જઈ રહ્યા હતા. ગતરોજ સાંજના છએક વાગ્યાના સુમારે જયેશભાઈ પોતાની ઉપરોક્ત રિક્ષા નંબર (જીજે૧ બીયુ ૦૧૮૨) ચલાવીને અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. ત્યારે ખેડાના વડાલા પાટીયા પાસે પૂરપાટે આવતી મોટરસાયકલ નંબર (જીજે ૦૭ ઇએ ૪૨૮૦)એ રિક્ષાને પાછળથી ટક્કર મારી હતી.
આથી રિક્ષા રોડ ઉપર જ બે-ત્રણ ગુલાંટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષાચાલક જયેશભાઈ પોતે રિક્ષામાંથી ફંગોળીને રોડ ઉપર પટકાયા હતા. જેના કારણે જયેશભાઇને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આથી તેમનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે મોટરસાયકલ ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી. આ બનાવ સંદર્ભે જયેશભાઇના નાના ભાઇ મહેશભાઈએ ખેડા ટાઉન પોલીસ મથકે ઉપરોક્ત મોટરસાયકલ ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.ખેડા નજીકના હાઈવે પર આગળ જતી રિક્ષાને મોટર સાયકલે ટક્કર મારતાં રિક્ષા ત્રણ-ચાર ગુલાંટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષા ચાલક ઉછળીને ફંગોળાઈને રોડ પર પટકાતાં તેનું કરૂણ મૃત્યુ થયું છે. જ્યારે મોટરસાયકલ ચાલક પણ ઘવાયો છે. આ બનાવ સંદર્ભે ખેડા ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
Recent Comments