ધોરણ 10-12ના બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પરીક્ષાના કેન્દ્ર પર જઇ બીજેપી યુવા મોરચાના કાર્યકરો શુભેચ્છા પાઠવશે
ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે પ્રદેશ યુવા મોરચાની બેઠક પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ.પ્રશાંતભાઇ કોરાટની અધ્યક્ષતામાં યોજાઇ હતી. યુવા મોરચાના અધ્યક્ષ ડૉ.પ્રશાંતભાઇ કોરાટે આગામી કાર્યક્રમો અંગે વધુમાં જણાવ્યું કે, યુવા મોરચા દ્વારા આગામી સમયમાં 23 તારીખથી શહિદ દિન નિમિત્તે દરેક જીલ્લા/મહાનગર અને તાલુકામાં શહિદ સ્મારકોની મુલાકાત અને શહિદ સપ્તાહ ઉજવવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત શાળા, કોલેજો, હોસ્પિટલોમાં જઇ યુવા મોરચાના કાર્યકરો સ્વચ્છતાના કાર્યક્રમ હાથ ધરશે. ધોરણ 10 અને 12 બોર્ડની પરિક્ષા આપનાર દરેક વિદ્યાર્થીઓને પરિક્ષાના કેન્દ્ર પર જઇ યુવા મોરચાના કાર્યકરો શુભેચ્છા પાઠવશે. 6 એપ્રિલે ભાજપાનો 43મો સ્થાપના દિન નિમિત્તે યુવા મોરચા દ્વારા જનસંઘના પાર્ટીના આગેવાનોના ઘરે જઇ માર્ગદર્શન મેળવવામાં આવશે અને તેમનું સન્માન કરશે. તા. 14 એપ્રિલ ડૉ.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતી નિમિત્તે ભાજપા યુવા મોરચા દ્વારા સરકારની યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત તેમજ સરકારી યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે તેમજ યુવા મોરચા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે દરેક જીલ્લા મહાનગરમાં બાઇક રેલી દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. ગામડાઓમાં શક્તિકેન્દ્ર પર જઇ વિર શહિદોના ઘરની મુલાકાત લેવાનું આયોજન હાથ ધરાશે તેમ જણાવ્યું હતું. ડૉ.પ્રશાંતભાઇ કોરાટે વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબને ગુજરાતની પાવન ધરા પર ભવ્ય આવકાર આપવા માટે યુવા મોરચાના કાર્યકરોએ ભવ્ય રોડ-શો કર્યો તે બદલ દરેક યુવા મોરચાના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા. ખેલ મહાકુંભના ઉદ્ધાટન કાર્યક્રમમાં યુવા મોરચાના કાર્યકરોએ સફળ બનાવવા માટે મહત્વનું યોગદાન આપ્યું છે. પ્રશાંતભાઇએ જણાવ્યું કે માઇક્રોડૉનેશનમાં અનેક જીલ્લામાં યુવા મોરચાના કાર્યકરોએ સારી કામગીરી કરી જેમાં ગાંઘીનગર, સુરેન્દ્રનગર, મોરબી અને મહેસાણા જીલ્લાના યુવાનોએ સારી કામગીરી કરવા બદલ વિશેષ અભિનંદન પાઠવ્યા.
Recent Comments