બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ ધામનો ભવ્ય અને દિવ્ય શિલાન્યાસ : પ૧ કુંડી ગાયત્રીયજ્ઞ, ભૂમિપૂજન અને આર્શીવચન સમારોહમાં સંતો, મહંતો અને ભૂદેવોની ઉપસ્થિતી
પોરબંદર નજીકના વનાણા ગામે પરશુરામ ધામનો ભવ્ય અને દિવ્ય શિલાન્યાસનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભૂમપૂજન અને પ૧ કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાધુ, સંતો, રાજકીય આગેવાનો, બ્રહ્મસમાજના આગેવાનો અને જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. પરશુરામધામના નિર્માણ માટે ભૂદેવોએ દરિયાદીલી દાખવતા પ૦ લાખથી વધુનું અનુદાન એકત્રીત થયું હતું.
પોરબંદર જિલ્લાનાં બ્રહ્મસમાજનું પરશુરામ ધામનું વર્ષોથી સ્વપ્ન હતું જે ચરીતાર્થ થવા જઇ રહયું છે. સમસ્ત બ્રહ્મસમાજ યુવા પાંખ ટ્રસ્ટનાં પ્રયાસોને કારણે વનાણા નજીક બે હજાર ચોરસ મીટર જમીન ટોકન દરે સરકારે આપી છે. આ જમીનની ખરીદી માટે બ્રહ્મસમાજનાં નાના મોટા સૌ દાતાઓએ અનુદાન આપ્યું હતું. આ જમીન સંપાદનની કામગીરી પુર્ણ થયાં બાદ તા.૧૬ એપ્રિલને શનિવારે હનુમાન જયંતિના પાવન દિવસે પરશુરામ ધામનાં શિલાન્યાસનો કાર્યક્રમ યોજાયો હતો. વનાણા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ યુવા પાંખ ટ્રસ્ટ દ્વારા ભૂમિપૂજન, શિલાન્યાસની સાથે પ૧ કુંડી ગાયત્રી યજ્ઞમાં ૮૦ પરિવારો અને દંપત્તિઓએ ભાગ લીધો હતો. આચાર્યપદે યુવા પાંખ ટ્રસ્ટના સિનીયર ટ્રસ્ટી ભીમભાઇ જોષી દ્વારા શાસ્ત્રોક્તવિધિ સાથે આ ગાયત્રી યજ્ઞ યોજવામાં આવ્યો હતો. જેમાં માણેકબાઇ પાઠશાળાના ઋષિકુમારો, રાણાવાવ-પોરબંદરની બ્રહ્મસમાજની બહેનો અને સ્વયંસેવકોએ સેવા આપી હતી. આ પ્રસંગે આર્શીવચન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતોએ આર્શીવચન આપ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રીય સંત રમેશભાઇ ઓઝા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા અને તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે બ્રહ્મસમાજ સમગ્ર સમાજને માર્ગદર્શન અને જ્ઞાન આપે છે તેવો આ સંગઠીત સમાજ જે સંકલ્પ કરી અને આગળ વધી રહ્યો છે તે અભિનંદનની પાત્ર છે. પરશુરામધામનો સંકલ્પ નિશ્ચિત સમય પહેલા પુર્ણ થશે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા અને પરશુરામધામ માટે સાંદીપનિ પરિવાર તરફથી સવાલાખના અનુદાનની જાહેરાત કરી હતી. તેમજ આ પ્રસંગે જ્ઞાતિ અગ્રણીઓએ બ્રહ્મસમાજ એક તાતણે બંધાય અને સંગઠીત થાય તો આવા ભવ્ય સંકુલનું નિર્માળ સરળતાપૂર્વક થઇ શકે જે આજનો પ્રસંગ જીવંત ઉદાહરણ હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સંસ્થા પરિચયની ૮ મીનીટની ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી હતી. જેમાં ૧૯૯રથી ર૦રર દરમિયાન બ્રહ્મસમાજ યુવા પાંખ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા કાર્યનો ચિતાર આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પ્રમુખ ડાયાભાઇ જોષીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધીરૂભાઇ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રસ્ટી શ્રીધરભાઇ અને શૈલેષભાઇ અને અશ્વિનભાઇ ઠાકરનો સહયોગ મળ્યો હતો. ત્યારે મહાપ્રસાદી માટે ટ્રસ્ટી ઉદયભાઇ ભાભા, હરિભાઇ પુરોહિતના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. ભેટ કાઉન્ટર ઉપર માનદ્ ટ્રસ્ટી રમણીકભાઇ પુરોહિત અને ટ્રસ્ટી જીતેન્દ્રભાઇ દ્વારા સેવા આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રહ્મસમાજના આગેવાનો અને જ્ઞાતિજનોનો સહયોગ મળ્યો હતો
Recent Comments