મહેસાણાના ત્રણ લોકો પાસેથી વેરાની કરચોરીમાં રૂ. ૪૫.૯૪ લાખની કરાઈ વસુલાત
મહેસાણા સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા વેપારીઓના ખરીદ-વેચાણ પત્રકોની ચકાસણી દરમિયાન પાલનપુરના બે અને મહેસાણાના એક વેપારીએ અંગત ઉપયોગ માટે ખરીદેલી લક્ઝુરિયસ કારને પેઢીના ઉપયોગ તરીકે દર્શાવી વેરાશાખ મજરે લઇ તેટલી ઓછી રકમનો વેરો સરકારી તિજાેરીમાં જમા કરાવી કરચોરી કરી હોવાનું ધ્યાને આવતાં આ ત્રણેય વેપારીઓને ત્યાં જીએસટી મહેસાણાની ટીમે દરોડા પાડ્યા હતા.
જેમાં કાર અંગત ઉપયોગ માટે ખરીદ્યાનું બહાર આવતાં વ્યાજ, દંડ સહિત મજરે લીધેલી વેરાશાખ મળી કુલ રૂ.૪૫.૯૪ લાખની સ્થળ પર વસૂલાત કરાઇ હતી. લક્ઝુરિયસ કાર પર જીએસટીનો દર ૨૮ ટકા અને કારના એન્જિનના પાવર (સીસી) તથા કારની લંબાઇ પ્રમાણે અલગ અલગ દર મુજબ સેસ લાગુ પડે છે. આ વેપારીઓ દ્વારા ટોયોટા ઇનોવા, હ્યુન્ડાઇ ક્રેટા તથા કિઆ સેલ્ટોસ જેવી કારો અંગત ઉપયોગ માટે ખરીદાઇ હતી અને તેની નોંધપાત્ર રકમ વેરાશાખ તરીકે (આઇટીસી) મેળવી કરચોરી કર્યાનું તપાસમાં બહાર આવ્યું હતું.
લોખંડના વેપાર સાથે સંકળાયેલા પાલનપુરના સુણસરા સ્ટીલના વેપારી કેસમાં સ્થળ તપાસ કરાઇ હતી. જેમાં જીએસટી પત્રકમાં વાસ્તવિક વેચાણો કરતાં ઓછી રકમનાં વેચાણો દર્શાવી કરચોરી કર્યાનું ધ્યાને આવતાં વેરો તથા દંડ મળી કુલ રૂ. ૧૪.૦૬ લાખની સ્થળ પર વસુલાત કરાઇ હતી.
Recent Comments