વડોદરામાં લોકોએ પોતાના ઘર ઉપર તિરંગા લગાવ્યા, શહેરમાં તિરંગા યાત્રા નીકળી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા.૧૩ ઓગસ્ટથી તા.૧૫ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ લાગે તે માટે અપીલ કરી હતી.. વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી આ અપીલને લોકોએ આવકારી લીધી હતી અને આજથી ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત લોકોએ પોતાના ઘરની બહાર સન્માનપૂર્વક તિરંગા લગાવી દીધા હતા. તેજ રીતે સોસાયટીઓ, પોળો, મંદિરો, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, સરકારી-અર્ધસરકારી કચેરીઓ ઉપર પણ તિરંગા લગાવી દેવામાં આવ્યા છે.
આઝાદીના ૭૫માં વર્ષના અણમોલ અવસર નિમિત્તે ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયન અંતર્ગત સમગ્ર શહેરે તિરંગો ઓઢી લીધો હતો. સર્વત્ર લાગેલા તિરંગાથી શહેર દેશ ભક્તિમાં રંગ રંગાઇ ગયું હતું. વડોદરા શહેરમાં રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શહેર પોલીસ તંત્ર તેમજ યુવાવર્ગ દ્વારા ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. વડોદરા શહેરના માર્ગો ભારત માતા કી જય. વંદે માતરમ અને રાષ્ટ્રગીતોથી ગુંજી ઉઠ્યા હતા. આઝાદીના ૭૫ માં વર્ષ નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની શરૂઆત થઇ ગઇ છે.
વડોદરા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે પોતાના ઘરે તિરંગો લગાવ્યો હતો. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર કચેરી, મ્યુનિસીપલ કોર્પોરેશનની કચેરી સહિત શહેરની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ ઉપર તિરંગા લગાવવામાં આવ્યા હતા. વડોદરાના સુપ્રસિદ્ધ મંદિર શ્રી કાશિવિશ્વનાથ, શ્રી ભીડ ભંજન હનુમાન મંદિરો સહિત શહેરના તમામ મંદિરો ઉપર તિરંગા લગાવવામાં આવ્યા હતા. શાકભાજીના પથારા, દુકાનદારો, લારી, ગલ્લા, વાહન ચાલકો દ્વારા પણ તિરંગા લગાવી દેવામાં આવ્યો હતો. આમ સમગ્ર શહેરે તિરંગો ઓઢી લીધો હોય તેવો માહોલ જાેવા મળી રહ્યો છે.
શહેરની સ્કૂલોમાં આજે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, કેટલીક સ્કૂલોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરના માંડવી સહિત ચાર દરવાજા, કોર્પોરેશન કચેરી, કલેક્ટર કચેરી, દાંડિયા બજાર બ્રિજ, મંદિરો સહિત ઐતિહાસિક ઇમારતોને ભવ્ય રંગબેરંગી રોશનીથી શણગારી દેવામાં આવી છે. સાંજે સમગ્ર શહેર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠશે. આજથી ત્રણ દિવસ ઉજવાનારા આઝાદીના અમૃત મહોત્સવમાં સમગ્ર શહેર દેશભક્તિમાં રંગાઇ ગયું હતું. સમગ્ર શહેરના લોકો આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં તરબતર થઇ ગયા છે.
Recent Comments