રાજકોટમાં બેકારીથી કંટાળી વૃદ્ધે ગળેફાંસો ખાધો, યુવાને ઝેરી દવા પીધી અને બહેને સમજાવતાં સગીરાએ વખ ઘોળ્યું
રાજકોટમાં આજે એક જ દિવસમાં આપઘાતની ત્રણ અને આપઘાતના પ્રયાસની એક ઘટના સામે આવી છે, જેમાં પહેલા બનાવમાં બેકારીથી કંટાળી વૃદ્ધે બગીચામાં ગઝીબો સાથે લટકતી હાલતમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે, જેની પાસેથી પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં કોઈનો વાંક નથી, બીમારીથી કંટાળી પગલું ભરું છું એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજા બનાવમાં 21 વર્ષીય યુવાન સુરતથી વતન આવી ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. ત્રીજા બનાવમાં 17 વર્ષીય સગીરાને બહેને સમજાવતાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે.
વૃદ્ધે ચૂંદડી બાંધી બગીચામાં ગળેફાંસો ખાધો
પહેલા બનાવમાં શહેરના સોરઠિયાવાડી બસ સ્ટોપની પાછળ બગીચામાં આવેલી ગઝીબોના પાઈપમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ એક વૃદ્ધે જિંદગી ટૂંકાવી લીધી હતી. એક વૃદ્ધનો બગીચામાં મૃતદેહ લટકતો હોવાની જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ખૂલ્યા મુજબ આપઘાત કરનાર વૃદ્ધ બગીચા આસપાસ જ રહેતાં હોવાનું અને રમેશભાઇ રામાનંદી તરીકે ઓળખાતા હોવાનું ખૂલ્યું હતું.
વૃદ્ધ પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી
બગીચા આસપાસના દુકાનદારો તથા બીજા લોકો તેમને જમાડતા હતા. આશરે 60 વર્ષના આ વૃદ્ધ પાસેથી પોલીસને એક સુસાઇડ નોટ મળી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે ‘આમાં કોઈ જવાબદાર નથી, હું બેકારીથી કંટાળી ગયો છું, બીમારીથી થાકી ગયો છું. લિ. રમેશભાઇ રામાનંદી.’ પોલીસે સુસાઇડ નોટ કબજે કરી પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતકના કોઇ વાલીવારસ હોય તો તેને પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.
સુરતથી વતન આવી યુવકે ઝેરી દવા પીધી
જ્યારે બીજા બનાવમાં રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીના આંબલિયાળા ગામના વતની અને હાલ સુરત રહી હીરા ઘસતાં વિશાલ ધનજીભાઇ પરમાર (ઉં.વ.21) નામના યુવાને ગઈકાલે જ સુરતથી વતન આવી ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. વિશાલે ઝેર પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. અહીંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી ફરી સિવિલમાં લાવ્યા હતા, પરંતુ તેણે દમ તોડી દીધો હતો.
વિશાલ બે ભાઈ અને એક બહેનમાં નાનો હતો
વિશાલ બે ભાઇ અને એક બહેનમાં નાનો તથા અપરિણીત હતો. પરિવારજનોના કહેવા મુજબ વિશાલ સુરત રહી હીરા ઘસતો હતો. ગઈકાલે જ વતન આંબલિયાળા ગામે આટો દેવા આવ્યો હતો. ગઈકાલે તેના પિતા ટ્રક ચલાવતા હોય બહારગામ હતા. તેણે તેના મિત્રના હાલમાં જ લગ્ન થયા હોય ભેટ આપવા માટે સાડી સહિતની વસ્તુ લેવા માટે માતા ધનીબેનને મોકલ્યા બાદ ઘરે એકલો હતો ત્યારે ઝેર પી લીધું હતું. કારણ અંગે પરિવારજનો અજાણ હોવાથી લોધિકા પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
રૈયાધારમાં આપઘાત કરનાર સગીરા ધો.10માં ભણતી
ત્રીજા બનાવમાં રાજકોટ શહેરના રૈયાધાર ઈન્દિરાનગર શેરી નં. 10માં 17 વર્ષીય સગીરાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. સગીરાએ ગઈકાલે રાતે દવા પી લેતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ મોડી રાતે મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકી સ્ટાફ દ્વારા યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં તેને હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
સગીરા છ બહેનમાં નાની હતી
આપઘાત કરનાર સગીરા છ બહેનમાં નાની હતી. તેના પિતા પરબતભાઇ વર્ષો પહેલાં સાધુ થઇ ગયા હોઈસ તેઓ ઘર છોડી નીકળી ગયા હતા. તે માતા સાથે ઇન્દિરાનગરમાં મોટી બહેન પૂજાબેન મહેશભાઇ ધોકિયા સાથે રહેતી હતી. માતાનું પણ ચારેક માસ પહેલાં અવસાન થયું હતું. ગઈકાલે તેણે ઘરમાં વાતચીત વખતે મોટા બહેનની સામે બોલતાં મોટા બહેને આ રીતે સામે ન બોલાય, કોઇ ઘરે આવ્યું હોય તો ખરાબ લાગે તેમ કહી સમજાવતાં તેણે માઠું લાગી જતાં આ પગલું ભર્યાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.
લોધિકાના મોટાવડામાં યુવતીએ એસિડ પીધું
રાજકોટ જિલ્લાના લોધિકાની મોટાવડા ગામે રહેતી 20 વર્ષીય યુવતીએ ગત રાત્રે પોતાના ઘરે એસિડ પી લેતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસની પૂછપરછમાં બે બહેન એક ભાઈમાં મોટી યુવતી રાજકોટની મહિલા કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જ્યારે નાની બહેન કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે અને નાનો ભાઈ ધો.11માં અભ્યાસ કરે છે. કડિયા કામ કરતાં પિતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોઈ, યુવતીને અભ્યાસ છોડી દેવાનું કહેતાં લાગી આવતાં મોડી રાત્રે એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.
Recent Comments