સુરતમાં કવાસમાં રખડતા ઢોરનાં ટોળાંમાં ફસાયેલા સાઈકલ સવારનું મોત
એલ એન્ડ ટી કંપનીમાંથી સાઈકલ પર ઘરે જતી વખતે રિલાયન્સ કંપનીના ગેટની સામે રખડતા ઢોરનાં ટોળાં વચ્ચે ધક્કો લાગતાં પટકાયેલા આધેડનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. અન્ય એક બનાવમાં હજીરા પોલીસ સ્ટેશન પાછળ રખડતી ગાય સાથે અકસ્માત સર્જાતાં એક યુવક ગંભીર રીતે ઘવાયો હતો. ઈચ્છાપોરના કવાસ ગામ મંદિર ફળિયામાં રહેતા વિરેન્દ્રભાઈ રામમુરત યાદવ(૪૮) એલ એન્ડ ટી કંપનીમાં કામ કરતા હતા. તા.૩ સપ્ટેમ્બરના રોજ સાંજે તેઓ સાયકલ પર નોકરીએથી ઘરે જવા માટે નીકળ્યા હતા. તેઓ રિલાયન્સ કંપનીના ગેટ સામેથી પસાર થતા હતા. ત્યારે રખડતા ઢોર વચ્ચે ધક્કામુક્કી થતા તેમાં વિરેન્દ્રભાઈ પટકાયા હતા અને ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં પંદર દિવસની સારવાર બાદ બપોરે તેમનું મોત નિપજ્યું હતું. ઈચ્છાપોર વાયુપુજન એપાર્ટમેન્ટ ખાતે રહેતા પુનિત દયાશંકર પાઠક(૩૮) રાત્રે કોઈક કામ અર્થે બાઈક લઈ હજીરા પોલીસ સ્ટેશનની પાછળના રસ્તા પર પસાર થતા હતા. ત્યારે અચાનક ગાય વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાતા પુનિતને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમને સારવાર માટે દાખલ કરાયા છે.
Recent Comments