મહારાષ્ટ્ર સરકારમાં અસ્થિરતા ઊભી કરવાનો પ્રયાસઃ શિવસેના
મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકારમાં અસ્થિરતા ઊભી કરવા માટે રાજકારણની ગંદી રમત રમાઇ રહી છે, પરંતુ આ પ્રયાસો સફળ થશે નહીં, એમ શિવસેનાના સાંસદ સંજય રાઉતે ગુરુવારે જણાવ્યું હતું. સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેએ દાવો કર્યો હતો કે ગૃહ પ્રધાન અનિલ દેશમુખે તેની પાસે પોલીસ દળમાં બની રહેવા માટે રૂ. બે કરોડ માગ્યા હતા તથા અન્ય પ્રધાન અનિલ પરબે કોન્ટ્રેક્ટરો પાસેથી ભંડોળ ભેગુ કરવાનું કહ્યું તેને કહ્યું હતું. તેના એક દિવસ બાદ રાઉતે ઉક્ત નિવેદન કર્યું હતું. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની નજીક એક કારમાંથી વિસ્ફોટકો મળી આવ્યાના અને ઉદ્યોગપતિ મનસુખ હિરેનના મૃત્યુ પ્રકરણે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા ગયા મહિને વાઝેની ધરપકડ કરવામાં આવી હતી. શિવસેનાના નેતા અનિલ પરબે બુધવારે વાઝેના દાવાને નકારી કાઢ્યા હતા અને તપાસ માટે તૈયાર હોવાનું કહ્યું હતું. જેલમાં આરોપીઓ પાસેથી પત્ર લખાવી લેવાની નવી પ્રથા શરૂ થઇ છે. આ પ્રકારનું ગંદું રાજકારણ દેશમાં ક્યારેય રમાયું હોય એવું જાેયું નથી. રાજ્યની એમવીએ સરકારમાં અસ્થિરતા ઊભી કરવાનો પ્રયાસ છે, એમ રાઉતે વધુમાં જણાવ્યું હતું.
Recent Comments