ટિ્વટર એકાઉન્ટ લોક થયા બાદ રાહુલ ગાંધી બોલ્યાઃ મારા ફોલોઅર્સનું અપમાન થયું. આ ફક્ત રાહુલ ગાંધી પર હુમલો નથી, આખી લોકશાહી વ્યવસ્થા પર હુમલો છેઃ કોંગ્રેસ નેતા
કાૅંગ્રેસનો દાવો છે કે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટિ્વટરે કાૅંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટિ્વટર એકાઉન્ટ અને પાર્ટી નેતાઓના ૫ હજારથી વધારે એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે. પાર્ટી પ્રમાણે કાૅંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલા, કે.સી. વેણુગોપાલ, અજય માકણ, લોકસભામાં પાર્ટીના વ્હિપ મનિકમ ટાગોર એવા નામ છે જેમના એકાઉન્ટને ટિ્વટરે લોક કરી દીધા છે. આ તમામ નેતાઓ પર નિયમોનું પાલન કરવાની ગરબડનો આરોપ છે. ટિ્વટરે આ કારણે આ કાર્યવાહી કરી છે.
આ મોટા નામો ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અને મહિલા કાૅંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવના ટિ્વટર એકાઉન્ટને પણ લોક કરી દેવામાં આવ્યા છે. કાૅંગ્રેસ પ્રમાણે ૫ હજારથી વધારે નેતાઓના એકાઉન્ટ લોક કરવામાં આવ્યા છે. હવે આ ખાતાઓમાંથી કોઈપણ ગતિવિધિ ના થઈ શકે. કાૅંગ્રેસે કહ્યું કે, પાર્ટીના એક વરિષ્ઠ સાંસદ ટિ્વટર સાથે આ મુદ્દે વાત કરી રહ્યા છે, અને કેસનો જલદી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે. કાૅંગ્રેસે ટિ્વટરને પત્ર લખ્યો છે અને આ વિવાદને જલદી ખત્મ કરવાની અપીલ કરી છે.
ટિ્વટરની આ કાર્યવાહી પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ટિ્વટર બંને પર પ્રહાર કર્યા છે. રાહુલે શુક્રવારના કહ્યું છે કે ટિ્વટરની કાર્યવાહી દર્શાવે છે કે તે એક તટસ્થ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ નથી. તેઓ સરકારના દબાવમાં કામ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો કરતા કહ્યું કે, “અમને સંસદમાં બોલવાની પરવાનગી નથી આપવામાં આવતી અને મિડિયા પર પણ નિયંત્રણ છે. હવે અમારી પાસે એક માત્ર આ જ આશાનું કિરણ હતું, પરંતુ એવું લાગી રહ્યું છે કે આ પ્લેટફોર્મ પણ તટસ્થ નથી.”
રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ફક્ત રાહુલ ગાંધી પર હુમલો નથી, પરંતુ આખી લોકશાહી વ્યવસ્થા પર હુમલો છે. કાૅંગ્રેસ સાંસદે કહ્યું કે, રાજકીય અસર પણ થશે, આ લોકશાહી વ્યવસ્થા પર હુમલો છે. ટિ્વટર આપણી લોકશાહી વ્યવસ્થામાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. એક કંપની આપણી રાજનીતિને વ્યાખ્યાયિત કરવા માટે બિઝનેસ કરી રહી છે. તેમણે કહ્યું કે, મારા ૨ કરોડ ફોલોઅર્સ છે, મારા એકાઉન્ટને લોક કરીને તેમના વિચારની અભિવ્યક્તિના અધિકારને કચેડવામાં આવી રહ્યો છે.
Recent Comments