ઓટોમોબાઇલ અને ડ્રોન ઉદ્યોગ માટે પીએલઆઇ સ્કીમને મંજૂરી
પીએલઆઇની મદદથી ભારત વિશ્વમાં ઓટો માટે મેન્યુફેકચરિંગ હબ બની શકશે. આ લાભ ફક્ત એવી જ કંપનીઓને મળશે જે રેવન્યુ અને રોકાણની શરતોનું પાલન કરશે. કાર ઉત્પાદક કંપનીઓએ આગામી પાંચ વર્ષમાં ઓછામાં ઓછું ૨૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સરકારના આ ર્નિણયથી સૌથી વધુ ફાયદો ઇલેક્ટ્રિક કાર બનાવનાર અમેરિકન કંપની ટેસ્લાને થશે. પીએલઆઇ સ્કીમના પ્રોત્સાહનથી ટેસ્લા ભારતમાં પોતાની પ્રસિદ્ધ ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન શરૂ કરી શકે છે. કેન્દ્રીય કેબિનેટ આજે ઓટો, ઓટો પાર્ટ્સ અને ડ્રોન ઉદ્યોગ માટે રૂ. ૨૬,૦૫૮ કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંકડ ઇન્સેન્ટીવ(પીએલઆઇ) સ્કીંમને મંજૂરી આપી છે. દેશની મેન્યુફેકચરિંગ ક્ષમતામાં વધારો કરવા માટે આ ર્નિણય લેવામાં આવ્યો છે
તેમ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે એક નિવેદનમાં જણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટની બેઠક પછી પ્રધાને પત્રકારોને જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં ઉદ્યોગને ૨૬,૦૫૮ કરોડ રૂપિયાના ઇન્સેન્ટીવ્સ આપવામાં આવશે. ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે આ પીએલઆઇ સ્કીમથી આગામી પાંચ વર્ષમાં ૪૨,૫૦૦ કરોડ રૂપિયાનું નવુ રોકાણ આવશે અને ૭.૫ લાખ નવી નોકરીઓનું સર્જન થશે. ઉલ્લેખનીય છે કે ઓટોમોબાઇલ અને ડ્રોન ઉદ્યોગ માટે જાહેર કરવામાં આવેલી પીએલઆઇ સ્કીમ ૨૦૨૧-૨૨ના બજેટમાં રજૂ કરવામાં ૧૩ સેક્ટરો માટેની પીએલઆઇ સ્કીમનો ભાગ છે. તે સમયે ૧૩ સેક્ટરો માટે કુલ ૧.૯૭ લાખ કરોડ રૂપિયાની પીએલઆઇ સ્કીમ જાહેર કરવામાં આવી હતી. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કેબિનેટના ર્નિણયોની માહિતી આપતા જણાવ્યું હતું કે ડ્રોન સેક્ટર માટે પણ પીએલઆઇ હેઠળ ૧૨૦ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.આનાથી દેશમાં ડ્રોનના ઉત્પાદન અને સંચાલનને વેગ મળશે.
Recent Comments