ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં બસ ખીણમાં પડતા ૨૬ના મોત
ઉત્તરાખંડના ઉત્તરકાશિમાં રવિવારે મોટી દુર્ઘટના ઘટી. લગભગ ૭ વાગ્યાની આસપાસ યમુનોત્રી નેશનલ હાઈવે પર ડામટા રિખાઉ ખડ્ડુ નજીક એક બસ બેકાબૂ થયા બાદ ૨૦૦ મીટર ઊંડી ખીણમાં ખાબકી. આ બસમાં કુલ ૩૦ મુસાફરો સવાર હતા જેમાંથી ૨૮ શ્રદ્ધાળુઓ હતા. અકસ્માતમાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા જયારે ૪ લોકો ઈજાગ્રસ્ત થયા. શ્રદ્ધાળુઓથી ભરેલી બસ જ્યારે ખાઈમાં ખાબકી ત્યારે બસના ફૂરચા ઉડી ગયા હતા. ચારેબાજુ લાશો વિખરાયેલી જાેવા મળી હતી. ઘટનાસ્થળની સ્થિતિ જાેઈને લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. આખી રાત સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું અને આ દરમિયાન ૨૬ મૃતદેહો મળી આવ્યા. જ્યારે ૪ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઉત્તરકાશી જિલ્લા મુખ્યાલયથી ઘટનાસ્થળ લગભગ ૮૦ કિમી દૂર હોવાથી રેસ્ક્યૂ ટીમોને ઘટનાસ્થળે પહોંચવામાં પણ સમય લાગ્યો હતો. જેના કારણે પહેલા સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને ટોર્ચની રોશનીમાં ઘાયલોને રસ્તા કિનારે લાવવાના પ્રયત્નો કરાઈ રહ્યા હતા. ઘટનાસ્થળના દ્રશ્યો જેણે પણ જાેયા તે વિચલિત થઈ ગયા. ડીઆઈજી ગઢવાલ કરણ સિંહ નગન્યાલે જાણકારી આપતા કહ્યું હતું કે બસમાં સવાર મુસાફરો મધ્ય પ્રદેશના પન્ના જીલ્લાના રહીશ હતા અને શ્રદ્ધાળુઓ યમુનોત્રી દર્શન માટે જઈ રહ્યા હતા. બસ ખીણમાં પડતા જ ફૂરચા ઉડી ગયા હતા. લાશો ક્ષત વિક્ષત હાલતમાં આમ તેમ પડી હતી. કેટલાક મૃતદેહો તો બસમાં જ ફસાયેલા જાેવા મળ્યા હતા. અકસ્માતની સૂચના મળતા બડકોટ અને પુરોલા પોલીસ સાથે એસડીઆરએફ, એનડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને અંધારામાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ અકસ્માત સંદર્ભે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી. મધ્ય પ્રદેશના સીએમએ મૃતકોના પરિજનોને ૫-૫ લાખની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. બીજી બાજુ ઉત્તરાખંડના સીએમએ પણ મૃતકોના પરિજનોને ૨-૨ લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. આ અકસ્માત પર પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો અને તેમણે રાષ્ટ્રીય રાહત કોષમાંથી મૃતકોના પરિજનોને ૨-૨ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦ હજાર રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી.
Recent Comments