મને એલજી સાહેબ રોજ જેટલી ઠપકો આપે એટલી મારી પત્ની નથી આપતી : કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરૂવારે ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને પત્ર લખીને કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, એલજી સાહેબ મને રોજ જેટલી ઠપકો આપે છે એટલી મારી પત્ની પણ મને ઠપકો નથી આપતી. મુખ્યમંત્રી કેજરીવાલે આગળ ટ્વીટ કર્યું, છેલ્લા છ મહિનામાં એલજી સાહેબે મને જેટલા લવ લેટર લખ્યા છે, એટલા તો આખી જિંદગીમાં મારી પત્નીએ મને નથી લખ્યા. એલજી સાહેબ થોડુ ચિલ કરો. અને તમારા સુપર બોસને પણ કહો, થોડુ ચિલ કરે.
નોંધનીય છે કે હાલમાં ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ મુખ્યમંત્રી કેજરીવાલને પત્ર લખ્યો છે. તેમણે અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ દરમિયાન બે ઓક્ટોબરે યોજાયેલા કાર્યક્રમમાં ગેરહાજર રહેવાનો મુદ્દો ઉઠાવ્યો. મુખ્યમંત્રીને મોકલેલા પત્રમાં ઉપરાજ્યપાલે કહ્યુ કે, હું તે કહેવા પર બાધ્ય છું કે બે ઓક્ટોબરે ન તો તમે ન તમારી સરકારના કોઈ મંત્રી હાજર હતા. દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, લોકસભાના સ્વીકર અને ઘણા વિદેશી ગણમાન્ય પણ બાપુને શ્રદ્ધાસુમન અર્પિત કરવા હાજર હતા. પત્રમાં ઉપરાજ્યપાલે લખ્યુ કે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા થોડી મિનિટ હાજર હતા, પરંતુ તે બેદરકાર જાેવા મળ્યા.
ઉપરાજ્યપાલે પાંચ પાનાના પત્રમાં નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે રાજધાટ અને વિજયઘાટ પર તમામ રાજકીય દળોના નેતા હાજર હતા. તેના પર આમ આદમી પાર્ટીએ પત્રનો જવાબ આપતા કહ્યું કે એલજીએ પ્રધાનમંત્રીના નિર્દેશ પર પત્ર લખ્યો છે. આપે કહ્યુ કે મુખ્યમંત્રીએ છેલ્લા ઘણા વર્ષોમાં હંમેશા ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિના કાર્યક્રમોમાં ભાગ લીધો છે. રવિવારે તે ગુજરાતમાં હતા અને તેથી કાર્યક્રમમાં સામેલ થઈ શક્યા નહીં. એલજીએ પત્રનું કારણ સમજવુ જરૂરી છે.
Recent Comments