ભાવનગર માર્કેટીંગ યાર્ડ ફરી ધમધમતું થયું, જાહેર હરાજી પણ શરૂ
કોરોના સંક્રમણ વધતા યાર્ડમાં તમામ હરાજીની કામગીરી બંધ કરવામાં આવી હતી, અને આજે લાંબા સમય બાદ ભાવનગર માર્કેટિંગ યાર્ડનો પ્રારંભ થયો હતો, કોરોનામાં આંશિક રાહત મળતા યાર્ડમાં હરાજીમાં મંજૂરી આપવામાં આવી છે, માર્કેટિંગ યાર્ડ આજ થી પુનઃ ધમધમતું થયું છે.
કોરોના મહામારીને કારણે ભાવનગર માર્કેટિંગ યાર્ડ છેલ્લા ઘણાં સમયથી બંધ હતું. ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ જણસી અનાજ, કઠોળ, મગફળી, સીંગતેલ, તેલીબીયા, કપાસ (ડુંગળી સિવાયની) ખેડૂતોની જાહેર હરાજી આજથી શરૂ કરવામાં આવ્યું છે. જાે કે તાઉતે વાવાઝોડાને પગલે લીંબુમાં મોટા પાયે નુકસાન થયું હતું. લીંબુ બગડી જતા અને ભાવ નહી મળતા ખેડૂતો અને વેપારીઓ દ્વારા લીંબુ ફેંકી દેવામાં આવ્યા હતા. વાવાઝોડાનાં કારણે યાર્ડમાં હરાજી બંધ રહેતા લીંબુનો બગાડ થયો હતો. ભાવનગર માર્કેટયાર્ડમાં અંદાજે ૬૦ થી ૭૦ ટન બગડી ગયેલા લીંબુ ફેંકી દેવામાં આવ્યા છે. લીંબુનો બગાડ થતા વેપારીઓ અને ખેડૂતોને પણ નુકશાન થયું હતું. માર્કેટિંગ યાર્ડનો પુનઃ પ્રારંભ થવાથી ખેડૂતો અને વેપારીઓમાં હર્ષની લાગણી જાેવા મળી હતી. યાર્ડનાં પ્રારંભ સાથે કેટલાક નિયમોનું પાલન કરવું પણ ફરજીયાત બન્યુ છે. જેમ કે માસ્ક પહેરી રાખવુ, સોશિયલ ડિસ્ટન્સ રાખવું વગેરે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવનગર દ્વારા ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ જણસી અનાજ, કઠોળ, મગફળી, સીંગતેલ, તેલીબીયા, કપાસ (ડુંગળી સિવાયની) ખેડૂતોની જાહેર હરાજી આજથી શરૂ કરાઇ છે, તેમ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવનગર-ઘોઘાનાં સેક્રેટરીએ જણાવ્યું છે.
Recent Comments