રાજકોટ મનપાના નવા કમિશ્નર અમિત અરોરાએ ચાર્જ સંભાળ્યો
રાજકોટમાં કલેક્ટર અને મનપા કમિશનરની બદલી થતા નવા કલેક્ટરે ગઇકાલે ચાર્જ સંભળ્યો હતો. જ્યારે આજે મનપાના નવા કમિશનર તરીકે અમિત અરોરાએ ચાર્જ સંભાળ્યો છે. તેઓએ ચાર્જ સંભાળતાની સાથે જ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચોમાસામાં પાણી નિકાલને રાજકોટમાં પ્રાથમિકતા આપવામાં આવશે. તેમજ મનપાના નાયબ કમિશનર તરીકે આશિષકુમારે ચાર્જ સંભાળ્યો છે.
નવા કમિશનર અમિત અરોરાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં વેક્સિનેશનને વેગ આપવો તે અમારી પ્રાથમિકતા રહેશે. અલગ અલગ બ્રિજનું નિર્માણ કામ પણ પૂરજાેશમાં કરવામાં આવશે. ચોમાસામાં પાણીની સમસ્યા રાજકોટમાં વધુ રહે છે તેના નિકાલ માટે પ્રાથમિકતા રહેશે. નવા ભળેલા ગામડાઓમાં રોડ-રસ્તાની સૌથી વધુ સમસ્યા છે. ત્યારે નવા ભળેલા ગામોનો વધુ વિકાસ કરવામાં આવશે અને તેને પૂરતી સુવિધા એ પ્રાથમિકતા રહેશે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે. જે નવા કમિશનર માટે પડકારરૂપ સાબિત થશે.
રાજકોટમાં ડીડીઓ તરીકે દેવ ચૌધરીએ ચાર્જ સંભાળ્યો છે. તેઓનું રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર દ્વારા સ્વાગત કરાયું હતું. દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશનને ઝડપી બનાવવામાં આવશે. એક માત્ર વેક્સિનેશન પર ભાર મૂકવાની અમારી પ્રાથમિકતા છે.
Recent Comments