સરધાર સ્વામિનારાયણ મંદિરમાં પાટોત્સવ અંતર્ગત અન્નકૂટ મહોત્સવ ઉજવાયો
સરધાર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગ રૂપે પ્રથમ પાટોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે સ્વામી નિત્યસ્વરૂપદાસજી તથા સંપ્રદાયના મહાન સંતોના વરદ હસ્તે મંદિરમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ તથા બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ અને ધર્મદેવ-ભક્તિ માતાનો દિવ્ય મહાભિષેક કરવામાં આવ્યો હતો. આ અભિષેકમાં ગંગા આદિક અનેક તીર્થોનું જળ, અનેક ઔષધિના રસ, પંચામૃત અને કેસર જળથી વેદોક્ત વિધિથી મહાઅભિષેક અને આરતી કરવામાં આવી હતી. તેમજ તીર્થોના જળની જળયાત્રા પણ હજારો ભક્તોના સંગાથે નગરમાં કાઢવામાં આવી હતી. પાટોત્સવના દર્શન કરવા માટે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી હતી.
આ પ્રસંગે ભગવાનને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવતું હોવાથી ભક્તજનો દર્શન માટે મોટી સંખ્યામાં મંદિરમાં એકત્ર થયા હતા. આ પાટોત્સવ તેમજ અભિષેકના યજમાન પદે ન્યાલકરણ ગ્રુપ-વડોદરા, નિસર પરિવાર-મુંબઈ, જિગરભાઈ-અમેરિકા, ભંડેરી ઇમ્પેક્ષ-સુરત અને સમર્પિત યુવક મંડળ-રાજકોટના ભક્તોએ લાભ લીધો હતો. સ્વામિનારાયણ ભગવાન સરધાર ગામમાં પ્રત્યક્ષ પધાર્યા હોય તેમાં આજે ૨૨૦ વર્ષ પૂર્ણ થતા હોવાથી સંતોએ સ્વયં ૨૨૦ વાનગી બનાવી હતી અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇહતી. આ દિવ્ય અન્નકૂટને ભગવાન સમક્ષ ધરાયો હતો. આ સમગ્ર ઉત્સવ દરમિયાન સંપ્રદાયના સેંકડો ભક્તો હાજર રહ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.
Recent Comments