ગુજરાતમાં ભાજપની સત્તાના ૨૫ વર્ષ પાર્લામેન્ટથી પંચાયત સુધી ભગવો

દેશભરમાં હિન્દુત્વની પ્રયોગશાળા અને ભાજપના એક મોડલ સ્ટેટ તરીકે ગુજરાતની ગણના થઈ રહી છે. ૧૪ માર્ચના રોજ ભાજપે ગુજરાતમાં સત્તાના ૨૫ વર્ષ પૂરા કર્યા છે. ૨૫ વર્ષ પહેલા એટલે કે ૧૪ માર્ચ ૧૯૯૫ના રોજ ગુજરાતમાં પહેલીવાર કેસરિયો લહેરાયો હતો અને ભાજપે સત્તા સંભાળી હતી. ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી ધ્વંસ બાદ ગુજરાતમાં હિન્દુત્વનું વાવાઝોડું ફરી વળ્યું અને ૧૯૯૫માં ૧૨૧ બેઠકની જંગી બહુમતી સાથે ભાજપે સત્તા હાંસલ કરી.
જાે કે ગુજરાતમાં આ ભાજપનો સત્તા પક્ષ તરીકે જન્મ હતો. જેથી શરૂઆતના ૬ વર્ષની સ્થિતિ લડખડાતા અને નવજાત બાળક જેવા રહ્યા હતા. જેમ જેમ કોઈ બાળક મોટું થતું જાય અને રમતિયાળ બનતું જાય એ રીતે જ ૬ મહિનામાં જ મુખ્યમંત્રી બદલવાની નોબત આવી.
ત્યાર બાદ ઓક્ટોબર ૧૯૯૫માં કેશુભાઈ સરકારમાં બળવો થયો. તે સમયે વાજપેયીએ મધ્યસ્થી કરીને બળવો ખાળવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે વાજપેયીએ સમાધાનના ભાગરૂપે સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવ્યા હતા. આમ ૬ મહિનામાં જ ભાજપના બીજા મુખ્યમંત્રીએ સત્તા સંભાળવી પડી. જાે કે બાળ ભાજપના તોફાનો અહીંથી અટક્યા નહીં, અને જેમ બાળક જેમ મોટું થતું જાય તેમ વધુ તોફાની બને એ રીતે જ એ સમય પણ આવ્યો જ્યારે આ બાળકે તોફાનથી ઘર માથે લે એ રીતે જ ગુજરાત માથે લીધું.
આ સમયે શંકરસિંહ વાઘેલાએ ભાજપમાં બળવો કર્યો અને ૪૭ ધારાસભ્યો સાથે ૧૯૯૬-૯૭ સુધી એક વર્ષ માટે કાૅંગ્રેસના ટેકાથી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. જાે કે આ સરકાર વધારે ન ચાલી અને દિલીપ પરીખને મુખ્યમંત્રીનું પદ મળ્યું. ત્યાર પછી વાઘેલાએ પોતાના પક્ષને કાૅંગ્રેસમાં ભેળવી દીધો.
ત્યાર બાદ ૧૯૯૮માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ અને ૧૧૭ બેઠક સાથે ભારતીય જનતા પાર્ટીએ શાનદાર જીત મેળવી. આ વખતે પણ કેશુભાઈના નેતૃત્વમાં સરકાર બની. જાે કે ૨૦૦૧ આવતા આવતા કચ્છમાં ભૂકંપ આવ્યો અને ત્યાર બાદ થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપનો પરાજય થયો. આ સાથે જ કેશુભાઈ સામે અસંતોષનો સુર શરૂ થયો અને કેશુભાઈને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા.
ત્યાર બાદ ૨૦૦૧, ઓક્ટોબરમાં નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદનો કાંટાળો તાજ પહેરાવવામાં આવ્યો. તેમની સામે કચ્છના ભૂકંપથી લઈ પક્ષની આંતરિક જૂથબંધી સહિતના અનેક પડકારો હતા. પરંતુ હવે આ બાળક થોડું સમજણું થયું હોય તેમ વર્તવા લાગ્યું. ૨૦૦૨માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું હિન્દુત્વનું કાર્ડ ખૂબ ચાલ્યું અને જનતાએ ખોબલે ખોબલે મત આપી ભાજપને ૧૨૭ બેઠક સાથે ફરી ગુજરાતનું સુકાન સોંપ્યું અને મોદી મુખ્યમંત્રી બન્યા.
૨૦૦૨માં ૧૨૭ બેઠક સાથે મુખ્યમંત્રી પદના શપથ લઈ રહેલા નરેન્દ્ર મોદી અને સાથે તત્કાલીન રાજ્યપાલ સુંદરસિંહ ભંડારી
ત્યાર બાદ ભાજપ નામનું બાળક મોટું થવા લાગ્યું અને ૨૦૦૭માં ટીનએજ પ્રવેશની તૈયારીઓ કરી લીધી. ૨૦૦૭ની વિધાનસભા ચૂંટણીમાં ૧૧૬ સીટ સાથે ફરી સત્તામાં આવ્યો. હવે ભાજપ ટીએનજમાં પ્રવેશી ચૂક્યો હતો અને સ્થિર થવા લાગ્યો.
ત્યાર બાદ ૨૦૧૨માં એટલે કે સતત ૫મી વિધાનસભા ચૂંટણીમાં ૧૧૫ બેઠક સાથે સત્તા મેળવી અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા. માત્ર એટલું જ નહીં, આ સાથે જ તેમની પીએમ બનવાની ચર્ચાઓ શરૂ થઈ. ત્યાર બાદ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપ થનગનતો યુવાન થઈ ગયો અને કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં બેસી ગયો અને નરેન્દ્ર મોદી પીએમ બન્યા. મોદી વડાપ્રધાન બન્યા બાદ આનંદીબેન પટેલે મે, ૨૦૧૪માં મુખ્યમંત્રી પદ સંભાળ્યું.
પાટીદાર આંદોલનને કારણે ૨૦૧૫ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરાજય થતા કેશુભાઈની જેમ આનંદીબેન પટેલે પણ ખુરશી ગુમાવી અને ઓગસ્ટ, ૨૦૧૬માં રૂપાણી મુખ્યમંત્રી પદે આવ્યા. ત્યાર બાદ ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૯૯ બેઠક જીતી લીધી અને રૂપાણી મુખ્યમંત્રી બન્યા. જાે કે આ ભાજપ હવે બાળકમાંથી યુવાન બની ચૂક્યો છે. તેમજ તાજેતરમાં થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યાર સુધીની ઐતિહાસિક જીત મેળવી ભાજપ હવે પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી સત્તામાં બેસી ગયો છે.?
છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતમાં સત્તા સંભાળી રહેલા ભાજપ સામે લડવામાં ગુજરાત કોંગ્રેસ નબળી જ પૂરવાર નથી થઈ પણ હથિયાર હેઠા મુકી દીધા છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. અઢી દાયકા દરમિયાન કોંગ્રેસના ૭ નેતા વિપક્ષ અને ૯ પ્રદેશ પ્રમુખ બદલાયા છે. જેમાંથી મોટા ભાગના નિવૃત્ત થઈ ગયા છે. જેમાં નરેશ રાવલ, પ્રબોધ રાવલ, સીડી પટેલ, બી.કે.ગઢવી, શંકરસિંહ વાઘેલા, મોહનસિંહ રાઠવા, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.
Recent Comments