અંજાર નગરપાલિકામાં પ્રજાસત્તાક દિન નિમિતે શહેરી કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ, ઉપપ્રમુખ બહાદુરસિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન વિજય પલણ, શાસકપક્ષના નેતા સુરેશ ટાંક, દંડક વિનોદ ચોટારા અને ચીફ ઓફિસર જીગર પટેલ દ્વારા સાથે રહી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. નિયમો મુજબ ધ્વજવંદન વખતે માથા પર સાફો, ટોપી, કે સાડીનો પલ્લું રાખવો ફરજિયાત હોય છે. પરંતુ અધિકારી અને પદાધિકારીઓ દ્વારા ખુલ્લા માથે જ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
વળી પાલિકાના પ્રમુખ દ્વારા ડાબા હાથે સલામી આપી ઔચિત્ય ભંગ કરવામાં આવ્યું હતું. આટલું અધૂરું હોય તેમ સલામી આપી દીધા બાદ પણ રાષ્ટ્રગીત ગાવામાં ન આવતા ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા ટકોર કર્યા બાદ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું ! આ ઘટના થકી ઉપસ્થિત સત્તાપક્ષના હોદ્દેદારોમાં જ કચવાટ ઉભો થયો હતો અને ઘટનાને વખોડવામાં આવી હતી. તો આ વાત સમગ્ર શહેરમાં વાયુ વેગે પ્રસરી જતા લોકોએ આ ઘટનાને રાષ્ટ્રધ્વજના અપમાન સમાન ગણી હતી. સામાન્ય રીતે કોઇપણ કાર્યક્રમમાં ધ્વજારોહણ કરનાર દ્વારા ઉદબોધન કરવામાં આવતું હોય છે અને પાલિકામાં અત્યાર સુધીની પરંપરા મુજબ શહેર પ્રમુખ દ્વારા જ ઉદ્દબોધન કરી વિકાસલક્ષી જાહેરાત કરવામાં આવી છે.
પરંતુ પ્રજાસત્તાકદિન નિમિત્તે અંજાર નગરપાલિકામાં પ્રમુખ ઉપસ્થિત હોવા છતાં ઉપપ્રમુખ દ્વારા લોકોને ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. જે વાતે પણ સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા હતા. અંજાર નગરપાલિકામાં અંદરો અંદર ૨થી વધુ ગ્રુપ સક્રિય છે. જે એક બીજાની ભૂલ પર ક્યારેય મોકો ચૂકતા નથી. ધ્વજારોહણ સમયે પણ આવું જ બન્યું હતું. પાલિકાના પ્રમુખ દ્વારા ઔચિત્ય ભંગ કરવાના બનાવ બાદ સત્તાપક્ષના જ અન્ય ગ્રુપે ખુબ ફાયદો ઉઠાવ્યો હતો અને ગમે તે રીતે પાલિકા પ્રમુખને નીચો દેખાડવામાં આવે તેવા પ્રૂરા પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા.
જેમાં તે સફળ પણ ગયા હતા.વિવાદોથી સતત ઘેરાયેલી રહેતી અંજાર નગરપાલિકામાં એવો બનાવ બન્યો હતો કે જેને ખુદ સત્તાપક્ષના લોકોએ જ વખોડ્યો હતો. પાલિકાના પ્રાંગણમાં આયોજિત ધ્વજવંદનના કાર્યક્રમમાં નિયમોનું પાલન ન કરી ઔચિત્ય ભંગ કરવામાં આવતા આ ઘટનાને ઉપસ્થિતોએ રાષ્ટ્રધ્વજનું અપમાન સમાન ગણાવ્યું હતું.
Recent Comments