સૌરાષ્ટ - કચ્છ

અગનભઠ્ઠામાં ફેરવાયેલ બન્નીમાંથી 400 પરિવારો ઘાસ પાણીની તંગીના કારણે હિજરત કરવા થયાં મજબૂર

હાલમાં જ કચ્છની સૌપ્રથમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ઇ-લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છના માલધારીઓને વિનંતી કરી હતી કે તેઓ ઉનાળા સમયે હિજરત ન કરે અને પોતાના ગામોમાં જ રહી પોતાના બાળકોને ભણાવે. પણ આ અગન જ્વાળા ઓકતા તડકામાં કચ્છના બન્ની વિસ્તારમાં ધોમ ધખતા તાપ વચ્ચે પાણી અને ઘાસચારાની તંગી સર્જાતા અનેક પરિવારો હિજરત કરવા મજબૂર બન્યા છે. રણ પ્રદેશ હોવાના કારણે કચ્છમાં દર વર્ષે ઉનાળા દરમિયાન પાણીની તંગી સર્જાતી હોય છે. ખાસ કરીને જિલ્લાના સરહદીય અને આંતરિયાળ વિસ્તારના ગામોમાં ઉનાળાના ત્રણ મહિના કાપવા ખૂબ કઠિન નીવડતા હોય છે. આ વિસ્તારના લોકોને ન માત્ર પોતાના માટે પણ પોતાના પશુઓ માટે પણ પૂરતા પાણીની વ્યવસ્થા કરવી પડતી હોય છે. અને જ્યારે એપ્રિલ અને મે મહિનામાં ઉનાળાનો તાપ અસહ્ય બને છે, ત્યારે આ ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો હિજરત કરવા મજબૂર બને છે.

અનેક દુકાળ જોયેલા આ પ્રદેશના માલધારીઓ માટે તો હવે જાણે ઉનાળામાં પોતાનું ઘર ગામ મૂકી હિજરત કરવી એક સામાન્ય પ્રક્રિયા બની ગઈ હોય તેવું લાગે છે. આ વર્ષે પણ માર્ચ મહિનાના અંત અને એપ્રિલ મહિનાની શરૂઆત વચ્ચે બન્ની વિસ્તારના અંદાજિત 400 જેટલા પરિવારો પોતાના પરિવાર અને માલ ઢોર લઈ પૂર્વ કચ્છ તરફ હિજરત કરી ગયા છે. બન્ની વિસ્તારના સેરવો, નાના સરડા, મોટા સરડા, ભગાડિયા સહિતના ગામોના 400 જેટલા પરિવારો દર વર્ષની જેમ પોતાના ગામને મૂકી એવા વિસ્તારોમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે, કે જ્યાં તેમના અને તેમના પશુઓ આગામી બે-ત્રણ મહિના સુધી પોતાનું જીવન નિર્વાહ કરી શકે. કચ્છના બન્ની વિસ્તારમાં પાણી ઉપરાંત ઘાસચારાની પણ ભારે અછત વર્તાઈ રહી છે. આ વિસ્તારના માલધારીઓ મુજબ ગામના સીમાડાઓમાં હવે ઘાસનું તણખલું પણ જોવા મળતું નથી જેથી તેમના પશુઓને પૂરતો ખોરાક મળતો નથી અને અંતમાં તેમના પશુપાલનના વ્યવસાય પર પણ અસર પડી રહી છે. બે અઠવાડિયા પહેલાં કચ્છની સૌપ્રથમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ઇ-લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં કચ્છના માલધારીઓને વિનંતી કરતા કહ્યું હતું કે હવે કચ્છમાં પહેલાની જેમ પાણી અને ઘાસચારાની અછત નથી અને માટે જ માલધારીઓને હિજરત કરવાનું ટાળી પોતાના ગામમાં રહી બાળકોને શિક્ષણ અપાવવું જોઈએ. પણ આ બન્ની વિસ્તારની પરિસ્થિતિ કંઇક જુદી જ છે.

Related Posts