હજુ કોરોનાના કેરને શાંત કરી શકીએ ત્યાં સુધીમાં તો રાજ્યમાં પશુઓ ઉપર મોટી આફત આવી પડી છે. રાજ્યમાં લમ્પી વાયરસ હાલ સક્રિય બન્યો છે ત્યારે આ વાયરસ રાજ્યના પશુઓને અસર કરી રહ્યો છે.અત્યાર સુધીમાં રાજ્યના ૧૭ જિલ્લાઓ લમ્પી વાયરસથી અસરગ્રસ્ત થયાં છે અને આ ૧૭ જિલ્લામાં હાલ પશુપાલન વિભાગ ખડેપગે પશુઓની સારવારમાં દોડી રહ્યું છે. રાજ્ય સરકાર પણ આ મુદ્દે સતત બેઠકો કરી રહી છે અને ત્વરિત પગલાઓ લઇ રહી છે.
આ અંગે હાલ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પશુઓના મેળાવડા, પશુઓની લે વેચ, રમતો વગેરે જેવી ગતિવિધિઓ સંપૂર્ણપણે બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યાં છે. જેથી આ રોગના પ્રસરણને અટકાવી શકાય.લમ્પી વાયરસથી અસરગ્રસ્ત જિલ્લાઓની વાત કરીએ તો રાજ્યના કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી,સુરેન્દ્રનગર, અમરેલી,ભાવનગર,બોટાદ,જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત ,પાટણ અરવલ્લી અને પંચમહાલ મળી કુલ-૧૭ જિલ્લાના ૧,૭૪૬ ગામોમાં આજે લમ્પી વાયરસના સ્કીન ડીસીઝ જોવાં મળ્યાં છે અને તેની સામે યોગ્ય આરોગ્ય સંબંધિત સારવારો તેમજ રસીકરણ થઇ રહ્યું છે.
રાજ્યના આ ૧૭ જિલ્લાઓમાં પશુપાલન ખાતાના ૧૯૨ પશુચિકિત્સા અધિકારીઓ અને ૫૬૮ પશુધન નિરિક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને સતત ખડેપગે ત્યાં ઉભા રહીને યોગ્ય ધ્યાન અપાઈ રહ્યું છે.પશુઓના આંકડાઓની વાત કરીએ તો કુલ-૫૦,૩૨૮ પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા હતા આ અસરગ્રસ્ત પશુઓની ત્વરિત સારવાર ચાલુ કરવામાં આવી છે જેમાં અસરગ્રસ્ત તમામ ૫૦,૩૨૮ પશુઓને સારવાર આપવામાં આવી છે.
જે ખૂબ જ સરાહનીય કામ છે. પશુઓમાં લમ્પી સ્કીન ડિસિઝની સારવાર અને રસીકરણની કામગીરીને યુધ્ધનાં ધોરણે પરિપૂર્ણ કરવાં રાજ્યની વેટરનરી કોલેજનાં સ્નાતક, અનુસ્નાતક અને પ્રાધ્યાપકો સહિત ૧૦૭ સભ્યોને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠા જિલ્લામાં આજથી તૈનાત કરવામાં આવ્યાં છે.રાજ્યના બીજા નિરોગી પશુઓમાં આ રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી ૫.૭૪ લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે અને હાલમાં જિલ્લા કક્ષાએ ૧૦ લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે. વધુ અસરગ્રસ્ત એવાં કચ્છ જિલ્લામાં લમ્પી સ્કીન ડિસિઝનાં સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવ દ્વારા પણ સમીક્ષા કરવામાં આવી છે અને સઘન આરોગ્ય કાર્યની વિગતો પ્રમાણે આગળ ટીમો કાર્યરત છે.
પશુપાલકોને આ રોગમાં તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી માટે રાજ્ય સરકાર દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત હેલ્પલાઈન નંબર-૧૯૬૨ કાર્યરત કરવામાં આવ્યો છે.છેલ્લાં ૮ દિવસમાં ૧૫, ૫૮૩ કોલ આવ્યાં છે એટલે કે, દરરોજ લમ્પી વાયરસ સ્કીન ડિસિઝ માટેના ૧૯૪૮ જેટલાં ફોન કોલ આવે છે અને પશુ ચિકિત્સાની ટીમ દ્વારા આ પશુઓની તકેદારી રાખવામાં આવી રહી છે.રાજ્ય સરકારની આ ઉત્તમ કામગીરી થકી આપણું ગુજરાત ખૂબ જ વહેલી તકે આ લમ્પી વાયરસથી ખૂબ જ ઝડપથી મુક્ત થશે તેમાં કોઇ શંકા નથી.
Recent Comments