ગુજરાત

અમદાવાદમાં દશેરા પર ૫૦થી વધારે સ્થળે રાવણ દહનનું આયોજન થયું

અસત્ય પર સત્યના વિજયના પર્વ ‘વિજયા દશમી’ની આજે આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે. જેની સાથે જ શારદીય નવરાત્રિની પણ સમાપ્તિ થશે. વિજયા દશમી નિમિત્તે અનેક સ્થાનોએ રાવણ દહન, શસ્ત્રપૂજનનું આયોજન કરાયું છે. અમદાવાદના ભાડજ ખાતે હરે કૃષ્ણ મંદિરમાં વિવિધ પ્રકારના ફૂલો સાથે રામ દરબાર સજાવવામાં આવ્યો છે. સાંજે ૬ઃ૩૦ વાગ્યે રથયાત્રા સાથે જ ઉજવણીનો પ્રારંભ થશે. સાંજે ૭ વાગ્યે રામલીલાનું આયોજન કરાયું છે. રાત્રે ૮ વાગ્યે ૧૦ માથાના રાવણ-કુંભકર્ણ-મેઘનાદના ૬૦ ફૂટના ઊંચા પૂતળાનું દહન કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના કારીગરો દ્વારા છેલ્લા એક મહિનાથી આ પૂતળા બનાવવામાં આવી રહ્યા છે.

રખિયાલના નાગરવેલના હનુમાન મંદિરમાં છેલ્લા ૬૦ વર્ષની જેમ આ વખતે પણ ૬૦ ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાશે. ખોખરા રેલવે કોલોનીમાં પણ ૪૫ ફૂટ ઊંચા રાવણનું દહન થશે. આ ઉપરાંત અમદાવાદના ઈસ્કોન મંદિરમાં સાંજે ૭ઃ૩૦ ના ૨૫ ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાશે. રાવણ દહન અગઠિ વૃંદાવનથી આવેલા સંતો દ્વારા કથા કરાશે. કેટલીક સોસાયટી અને ક્લબમાં પણ રાવણ દહનનું આયોજન કરવામાં આવેલું છે. રાવણ દહનને લઈને ફાયર બ્રિગેડ દ્વારા પણ પૂરી તૈયારીઓ કરવામાં આવી છે. રાવણ દહન અંગે જ્યાંથી પણ અરજી આવી છે ત્યાં ફાયર બ્રિગેડની ખાસ ગાડીઓ તૈનાત રહેશે. સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, ‘રાવણના દહન સાથે આપણે આપણા દોષોનું પણ દહન કરવું જાેઈએ.

દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન વર્ષોથી કરવામાં આવે છે પણ રાવણવૃત્તિ નાશ પામતી નથી. દશેરાના દિવસે આપણામાં રહેલા દશ દોષનું આપણે દહન કરીએ ત્યારે જ ખરા અર્થમાં આપણે દશેરા ઉજવી કહેવાશે. દશેરાના દિવસે આપણે રાવણ દહન જાેઈને ખુશ થઈએ છીએ પણ તે રાવણ આપણામાં થોડા વધતા અંશે વસી રહ્યો નથી ને, તે તપાસ કરવાની જરૂર છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષમાં કેટલાક જ દિવસ વણજાેયા મુહૂર્ત કહેવામાં આવે છે. જેમાં દશેરાનો પણ સમાવેશ થાય છે. વિદ્યાભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તેમજ તમામ લોકોએ દશેરાએ શુભ કાર્યની શરૂઆત કરવી જાેઈએ અથવા તો કાર્ય કરવાનો સંકલ્પ કરવો જાેઈએ.

નવી ગાડી-મકાન-જમીન-દુકાન-સ્ટોર જે કંઈ પણ વસ્તુ ખરીદ કરવી હોય તો તેનું ટોકન કે તેની રકમ ચૂકવવી જાેઈએ અથવા તેનું મુહૂત કરવામાં આવે તો તેનાથી અચૂક શુભ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સાથે પોલીસ વિભાગમાં પણ નવી પેઢી આવી ગઈ છે અને ભરતી કરવામાં આવેલા યુવાનો તેમજ યુવતીઓએ પણ પ્રણાલિ મુજબ દશેરાના દિવસે શસ્ત્રપૂજન કરવાનું ચાલુ રાખ્યું છે. પહેલાં શહેરમાં ફક્ત કમિશનર કચેરીએ શસ્ત્રપૂજન થતું હતું. જાેકે, હવે દરેક પોલીસ સ્ટેશનોમાં શસ્ત્રપૂજન કરવામાં આવે છે જેને લીધે શસ્ત્રપૂજનની તૈયારીના ભાગરૂપે બન્ને ખભે રાઈફલ મૂકી લઈ જવાઈ હતી.

Related Posts