અમરેલી

અમરેલીની જેલના ર કેદીઓ તેમજ સારવાર માટે લઇ જનાર પોલીસકર્મી પીધેલા ઝડપાયા

અમરેલી જિલ્‍લા જેલમાં રહેલા હત્‍યા તેમજ ખંડણીના બે આરોપીને સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલમાં લઇ જનાર પોલીસકર્મી સહિત ત્રણેય શખ્‍સોને કેફીપણુ પીધેલ હાલતમાં ઝડપી લેવામાં આવેલ હતા. કાચા કામના કેદી સાથે પોલીસ જાપ્‍તાકર્મી ખુદ કેફીપીણુ પીધેલ હાલતમાં ઝડપાતા ત્રણેય સામે સીટી પોલીસમાં ફરિયાદ નોંધાતા ભારે ચકચાર જાગેલ હતી. પોલીસકર્મી અને કાચાકામના કેદી પાસે કેફીપીણુ કયાંથી આવેલ અને કયારે પીધેલ હતુ તે પણ તપાસનો વિષય બનેલ હતો.

પ્રાપ્‍ત વિગત મુજબ અમરેલી જિલ્‍લા જેલમાં હત્‍યાના કાચા કામનો કેદી ચિરાગ ગીરજાશંકર ઠાકર અને તાજેતરમાં જ અમરેલીના વેપારી પાસેથી ખંડણી માંગનાર કાચાકામનો કેદી છત્રપાલ ચંદ્રકિશોર વાળા નામના બે કાચા કામના કેદીઓને સારવાર અર્થે લઇ જવામાં આવેલ હતા. પોલીસ જાપ્‍તાના પોલીસકર્મી હનિફખાન યાસીનખાન મલેક સાથે ગયેલ હતા. સિવિલ હોસ્‍પિટલમાંથી સારવાર લઇ પોલીસકર્મી તેમજ બંને કેદી પરત જિલ્‍લા જેલમાં આવેલ હતા. જેલમાં ફરજ બજાવી રહેલા જેલ સિપાઇ વિજયસિંહ એસ. રાઠોડને કેદીના વર્તન ઉપર શંકા ગયેલ હતી. બંને આરોપીના મોઢામાંથી કેફીપીણુ પીધાનું જણાઇ આવેલ હતું.

જેઅંગે સીટી પોલીસને જાણ કરવામાં આવેલ હતી. સીટી પો.સ.ઇન્‍સ. પી.બી. પલ્‍વસે જિલ્‍લા જેલમાં જઇ બંને કેદીઓની તપાસ કરતા બંનેના મોઢામાંથી કેફીપીણાની વાસ આવતી હતી તેમજ પોલીસ જાપ્‍તાકર્મીની પૂછપરછમાં જીભ થોથરાતી હતી અને શરીરનું સમતોલપણુ જળવાતુ ન હોવાથી કેદીઓની સાથે તેમણે પણ કેફીપીણુ પીધાનું જણાતા ત્રણેયને સરકારી દવાખાને લઇ જઇ આલ્‍કોહોલ તપાસણી અંગેના સેમ્‍પલ લેબમાં આપેલ હતા અને ત્રણેય સામે અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી. પોલીસ જાપ્‍તાકર્મી સાથે કેદીઓની શરાબની મોજ માણવાની ઘટનાથી ભારે ચકચાર જાગેલ હતી.

Related Posts