અમરેલી

અમરેલીમાં કૃષિમંત્રીના હસ્‍તે એચીવમેન્‍ટ એન્‍ડ એન્‍ડેવર રીપોર્ટનું થયુ વિમોચન

ગુજરાત રાજયના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી રાઘવજીભાઈ પટેલએ આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સટી હેઠળનાઅમરેલી ખાતેના કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રની મુલાકાત લઇ કૃષિ વૈજ્ઞાનિકો સાથે બેઠક કરી હતી. કૃષિમંત્રીએ જણાવ્‍યું હતું કે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ર0રરમાં ખેડૂતોની આવક બમણી કરવાના સપનાને સાકાર કરવા માટે કૃષિ વિજ્ઞાન ખૂબ જ મહત્‍વનો ભાગ ભજવે છે. રાજયની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે અવનવા પ્રયોગો કરી ખેડૂતોને સારૂ અને ગુણવત્તાયુક્‍તત બિયારણ આપવા સમર્થ બન્‍યા છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્‍ય આપતા કૃષિમંત્રીએ ઉમેર્યું હતું કે રાજયના ખેડૂતોને રાજયપાલ આચાર્ય દેવવ્રતએ ગાય આધારિત સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી તરફ વાળવા ઝુંબેશ શરૂ કરી છે. આગામી દિવસોમાં અવનવા સંશોધનો થકી સમગ્ર ગુજરાત રાજયને ખેતીક્ષેત્રે વધુ સમૃદ્ધ બનાવવા રાજય સરકાર કટિબદ્ધ છે. અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતમિત્રોએ કૃષિમંત્રી સાથે સંવાદ કર્યો હતો. બાબરાના સુખપુરના વનરાજભાઈ ઝાપડીયા, સાવરકુંડલાના કૃષ્‍ણગઢના વિપુલભાઈ મુંજપરા, ગોઢાવદરના ભરતભાઈ નારોલા અને ડ્રેગનફુટ (કમલમ) ફળની ખેતી કરતા સાવરકુંડલાના કૃષ્‍ણગઢના મનોજભાઈ વોરાએ મંત્રી સમક્ષ પોતાના સ્‍વઅનુભવો જણાવી રાજય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત મળી રહેલા લાભો વિશે વિસ્‍તૃતમાં ચર્ચા કરી હતી. કાર્યક્રમના પ્રારંભે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.એન.કે. ગોંટીયા અને વિસ્‍તરણ શિક્ષણ નિયામક ડો. એચ.એમ. ગાજીપરાએ પ્રાસંગિક ઉદ્‌બોધન કરી કૃષિ યુનિવર્સિટી વિશે વિસ્‍તૃતમાં માહિતી આપી હતી. કૃષિમંત્રી પટેલ અને મહાનુભાવોના હસ્‍તે કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા એચીવમેન્‍ટ એન્‍ડ એન્‍ડેવર રીપોર્ટનું વિમોચન કરવામાં આવ્‍યું હતું. આ તકે સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, પૂર્વ ભાજપ પ્રમુખ ડો. કાનાબાર, કૃષિ સંશોધન કેન્‍દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડો. વી.એન. ગોહિલ તેમજ કૃષિ સંશોધન કેન્‍દ્રના વૈજ્ઞાનિકો, ખેતીવાડી, બાગાયત અને અન્‍ય સંલગ્ન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તથા પ્રગતિશીલ ખેડૂતમિત્રો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related Posts