અમરેલી

અમરેલી ખાતે ૧૧ કેન્દ્રો ઉપર ૨૬ ડિસેમ્બરના જીપીએસસીની વર્ગ ૧ અને ૨ ની પ્રિલીમ પરીક્ષા યોજાશે

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ ૧, ગુજરાત મુલકી સેવા વર્ગ ૧ અને ૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ ૨ની જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષા ૨૬ ડિસેમ્બરના રોજ અમરેલી જિલ્લાના ૧૧ પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે. આ પરીક્ષાને અનુસંધાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે.

જાહેરનામામાં જણાવ્યા અનુસાર પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધિત કામગીરીમાં રોકાયેલા ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિન અધિકૃત માણસોએ ઉપરોકત પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું નહિ. તેમજ કોઈપણ વ્યક્તિએ કોઈપણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ/ વિક્ષેપ/ ધ્યાનભંગ થાય તેવું કોઈ કૃત્ય કરવું/ કરાવવું નહીં. પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈપણ વસ્તુ ઈલેકટ્રોનીક આઈટમ/ પુસ્તક, કાપલીઓ, મોબાઈલ ફોન, ઝેરોક્ષ નકલોનું વહન કરવું નહી કે કરાવવામાં મદદગારી કરવી નહીં.

જે તે પરીક્ષાના મથકોના કમ્પાઉન્ડ હદથી ચારે બાજુ ૧૦૦ મીટરની હદની અંદર પરીક્ષાઓની તા.૨૬/૧૨/૨૦૨૧ ના રોજ પરીક્ષાની તારીખ અને સમયાનુસાર સવારના ૦૯:૩૦ કલાકથી સાંજના ૧૮:૩૦ કલાક સુધી આ હદની અંદર આવેલ જાહેર માર્ગ ઉપર ૪ કે તેથી વધુ વ્યકિતઓએ એકત્ર થવુ નહિ કે કોઈ વાહન ઉભું રાખવું નહિ. આ સ્થળોના કમ્પાઉન્ડની અંદર કોઈ અનઅધિકૃત પ્રવેશ કરવો નહિ

દરેક પરીક્ષા કેન્દ્રના સંચાલકોએ ઉપરોકત સમય દરમ્યાન શાળામાં ઝેરોક્ષ કોપી મશીન, સ્કેનર મશીન બાબતે સ્વએકરારનામું કરવાનું રહેશે તથા જે તે શાળા-પરીક્ષા કેન્દ્રનું ઝેરોક્ષ કોપી મશીન, સ્કેનર સીલ કરીને રાખવાનાં રહેશે તથા જિલ્લા શિક્ષાણાધિકારી, અમરેલી ખરાઈ કરી આ બાબતનું પ્રમાણપત્ર કેન્દ્ર સંચાલક પાસેથી પરીક્ષા સમય પહેલા અચૂક મેળવી લેવાનું રહેશે.

પરીક્ષાખંડમાં આવનાર પરીક્ષાર્થીઓને, પરીક્ષા સંચાલનના કામ માટે ફરજ પર રોકાયેલા અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓને, જાહેર માર્ગ પર પસાર થતાં વાહનોમાં બેઠેલા મુસાફરોને અને સ્થાનિક સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી/તાલુકા મામલતદારશ્રીએ આ હુકમના અમલમાંથી મુકિત આપેલ વ્યકિતઓ તથા વાહનોને આ હુકમ લાગુ પડશે નહિ. તા.૨૬/૧૨/૨૦૨૧ ના રોજ પરીક્ષાની તારીખ અને સમયાનુસાર સવારના ૦૯:૩૦ કલાકથી સાંજના ૧૮:૩૦ કલાક સુધી અમલમાં રહેશે.. આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહીતતાની કલમ-૧૮૮ માં ઠરાવેલી શિક્ષાને પાત્ર થશે.

Related Posts