અમરેલી

અમરેલી જિલ્લાના બગસરા મુકામે જિલ્લા કક્ષાના ૭૮મા સ્વાતંત્ર્ય પર્વ દિનની ઉજવણી સંપન્ન

 ૭૮મા સ્વાતંત્ર્ય પર્વ – સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી બગસરા ખાતે રાજ્ય સરકારના જળસંપતિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને સંપન્ન થઈ હતી. બગસરા સ્થિત મેઘાણી હાઈસ્કુલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ ધ્વજવંદન કર્યુ હતુ. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ બગસરાની ધરતી પરથી નાગરિકોને સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છાઓ પણ મંત્રીશ્રીએ પાઠવી હતી. મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું.

સ્વાતંત્ર પર્વ નિમિત્તે મંત્રીશ્રીએ પ્રેરક ઉદ્બબોધનમાં કહ્યુ કે, આઝાદીની આહલેકમાં ગુજરાતની ભૂમિનું અદકેરું પ્રદાન છે. રાષ્ટ્રની સ્વતંત્રતા માટે સઘળું ન્યોછાવર કરનારા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, વીર સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્મા સહિત અનેક સ્વાતંત્ર્ય વીરસપૂતોના, રાષ્ટ્ર માટેના યોગદાનને મંત્રીશ્રીએ વંદન કર્યા હતા.

રાજય સરકારના પ્રજાલક્ષી અભિગમને કારણે ગ્રામજનો, શહેરીજનો, ગરીબો, વંચિતો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો સૌ કોઈને વિવિધ યોજનાકીય લાભ મળી રહ્યા છે. આપણા રાષ્ટ્રીય પર્વોની ઉજવણીમાં જન-જનને જોડવાનો ઉપક્રમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરાવ્યો, તેમની પ્રેરણાથી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’, ‘મેરી મીટ્ટી મેરા દેશ’, ‘હર ઘર તિરંગા’ જેવા અભિયાનથી નાગરિકોમાં રાષ્ટ્ર પ્રથમ – નેશન ફર્સ્ટની ભાવના પ્રબળ બની છે. તા.૮મી ઓગસ્ટથી શરુ થયેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં રાજ્યના કરોડો નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ની નેમ છે. વડાપ્રધાનશ્રીના આહ્વાનથી શરુ થયેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત રાજયમાં માર્ચ-૨૦૨૫ સુધીમાં ૧૭ કરોડ વૃક્ષો વાવી રાજ્યના હરિત કવચને વધારવાનો સંકલ્પ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પર્ફોર્મ-રિફોર્મ-ટ્રાન્સફોર્મના મંત્ર સાથે ભારત એ વિશ્વની ખૂબ ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બન્યું છે.

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે જ્ઞાન આધારિત બજેટ રજૂ કરી ગરીબ, યુવા, અન્નદાતા, નારી શક્તિના કલ્યાણને કેન્દ્રમાં રાખ્યું છે. વડાપ્રધાનશ્રીએ શરુ કર્યા હતા તે ગરીબ કલ્યાણ હિતલક્ષી કાર્યોની પરંપરાને રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યા છે, આગામી સપ્ટેમ્બર માસમાં રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળાની ૧૪મી કડી યોજાશે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીએ યુવા કૌશલ્ય વિકાસ પર ભાર મૂક્યો છે. રોજગારીની તકો વધારવા માટે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતમાં ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસ યોજના દ્વારા સેમિકન્ડક્ટર, બ્લોકચેન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. અન્નદાતાઓના કલ્યાણ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના હેઠળ રાજ્યના ૪૫ લાખથી વધુ ખેડૂતોને સહાય આપવામાં આવી છે.

જૈવિક અને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. મહિલાઓના ઉત્થાન માટે દેશમાં અનેક કામો થઈ રહ્યા છે. દેશમાં પંચાયતથી રાષ્ટ્રપતિ ભવન સુધી નારિશક્તિનો પરચમ લહેરાઈ રહ્યો છે. આર્થિક અને ઔદ્યોગિક વિકાસની દિશામાં ગુજરાત ઝડપથી આગળ વધી રહ્યું છે.  ગરીબ, યુવા, અન્નદાતા, નારરીશક્તિ, આર્થિક અને ઔદ્યોગિક વિકાસ,  ઉર્જા વ્યવસ્થાપન, આરોગ્ય, ગુડ ગવર્નન્સ,  સામાજિક સુરક્ષા અને સલામતી ક્ષેત્રે રાજ્યમાં કાર્યરત વિવિધ યોજનાઓ અને રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ પણ મંત્રીશ્રીઓએ જણાવી હતી. ઉજવણીમાં જિલ્લા પોલીસ દ્વારા હર્ષ ધ્વનિ અને દેશભક્તિના ગીતોની ધૂન સંગીતની સૂરાવલીઓ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં બગસરા-ધારી-ખાંભા મંતવિસ્તારના ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ વડા સહિતના મહાનુભાવોએ મંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઉમંગરાય છાટબારને સુતરની આંટી પહેરાવી સન્માનિત કર્યા હતા. શહીદ વીર જવાનોના અને અંગદાતાઓના પરિવારજનોને પણ મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રી તથા મહાનુભાવોએ બગસરા સ્થિત મેઘાણી હાઇસ્કુલના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યુ હતુ.

અમરેલી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વમાં વિદ્યાર્થીઓએ યોગાસન અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરનાર વિદ્યાર્થીઓને રમત ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમત ગમત વિકાસ કચેરી દ્વારા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ, રમતગમત ક્ષેત્રના ખેલાડીઓ-વિદ્યાર્થી, વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કચેરીઓના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.પ્રાકૃતિક કૃષિ, કૃષિ કામગીરી માટે ઉપયોગી ડ્રોન,  વિવિધ શસ્ત્રો, મહિલા અને બાળ કલ્યાણને લગતી યોજનાઓને આવરી લેતા આંગણવાડી સહિતની કચેરીઓના સ્ટોલ્સ પણ કાર્યક્રમમાં રાખવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયા, જિલ્લા કલેકટરશ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંઘ, સાવરકુંડલા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી વલય વૈદ્ય, નિવાસી અધિક કલેક્ટરશ્રી દિલીપસિંહ ગોહિલ, અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી જાડેજા, બગસરા પ્રાંત અધિકારીશ્રી નંદા, નાયબ જિલ્લા પોલીસ અધિકારીશ્રી ગોહિલ,  બગસરા તાલુકા મામલતદારશ્રી ઝાલા, અમરેલી સામાજિક વનીકરણ મદદનીશ વનસંરક્ષક શ્રી એમ.યુ. શેખ,  વેપારી, અગ્રણીશ્રીઓ, મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ, મહેસૂલ, પંચાયત, પોલીસ, આરોગ્ય, શિક્ષણ, વન, ૧૦૮ અને ખિલખિલાટ સેવા સહિતની કચેરીઓના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.  સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રકાશભાઇ જોષીએ કર્યુ હતું.

Related Posts