અમરેલી

અમરેલી જિલ્લામાંથી સાંસ્કૃતિક સ્પર્ધામાં સૂરગંગા નૃત્ય વિદ્યાલયની ટીમે પ્રથમ પુરસ્કાર મેળવ્યો

ભારત સરકારના ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર સંગઠન, ગુજરાત દ્વારા તાજેતરમાં રાજ્ય સ્તરના ‘યુવા ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે યોજાયેલા આ યુવા ઉત્સવના અંતે અમૃતકાળના પંચ પ્રણની થીમ પર ચિત્રકળા, મોબાઈલ ફોટોગ્રાફી, કાવ્ય લેખન, વકતૃત્વ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ, સહિતની વિવિધ સ્પર્ધાઓ સંપન્ન થઈ હતી. આ સ્પર્ધામાં રાજ્ય સ્તરે અમરેલી જિલ્લામાંથી સાંસ્કૃતિક સ્પર્ધામાં સૂરગંગા નૃત્ય વિદ્યાલયની ટીમે પ્રથમ પુરસ્કાર મેળવ્યો હતો. વિજેતાઓને રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે રુ. ૪૦,૦૦૦નો પુસ્સ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે મોબાઈલ ફોટોગ્રાફી સ્પર્ધામાં અમરેલીના સ્પર્ધક શ્રી હર્ષલભાઈ લાઠીયાએ દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરતા રુ.૭,૫૦૦નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય પશુપાલન મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલા, ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નેહરુ યુવા સંગઠનના રાજ્ય નિર્દેશક શ્રીમતિ મનિષા શાહ, ઉપ નિર્દેશક શ્રી, દુષ્યંત ભટ્ટ તથા અધિકારીગણ ઉપસ્થિત થયા હતા. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સ્તરે વિજેતા થયેલા સ્પર્ધકોને હવે રાષ્ટ્રીય સ્તરે યોજાનાર સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળશે, તેમ નેહરુ યુવા કેન્દ્ર, અમરેલીના જિલ્લા યુવા અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.

Related Posts