અમરેલી

અમરેલી જિલ્લામાં ૧૮ માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને ખેત પાકો સલામત સ્થળે ખસેડવા  અનુરોધ

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આજ તા.૧૪ માર્ચ, ૨૦૨૩થી ૧૮ માર્ચ, ૨૦૨૩ સુધી અમરેલી જિલ્લામાં કમોસમી માવઠું, સામાન્ય વરસાદ થવાની આગાહી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે મોટા ભાગે ખેડૂતો દ્વારા પાકના રક્ષણ માટે ઉચિત પગલા લેવામાં આવતા જ હોય છે તેમ છતાં તકેદારીના યોગ્ય પગલાઓ ભરવા જિલ્લાના ખેડૂતોને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે. પાકને કમોસમી વરસાદથી થતી નુકશાનથી બચાવવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તે પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી. અથવા તે પાકોને પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકે તેવા પગલા ભરવા.

જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી  સાવચેતીના આગોતરાં પગલા લેવા અનુરોધ છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા જરુરી છે. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી. આ અંગેની વધુ જાણકારી માટે આપાના વિસ્તારના ગ્રામસેવકશ્રી/વિસ્તરણ અધિકારીશ્રી, તાલુકા અમલીકરણ અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી તેમજ તાલુકા ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૦૮૧૫૫૧નો સંપર્ક કરવા તેમજ સાવચેતી જાળવવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts