આરોગ્ય તંત્ર દ્વારા નિર્ધારિત સમય પત્રક પ્રમાણે સગર્ભાઓને અને ૨ વર્ષ સુધીના બાળકોને ઓરી, ઝેરી કમળો, પોલિયો, ન્યૂમોનિયા, રુબેલા જેવા રોગોથી બચાવતી રસીઓ મૂકવામાં આવે છે. ઘણીવાર ગામ કે ઘર બદલવા સહિતના વિવિધ કારણોસર સગર્ભાઓ અને બાળકો આ રસીઓના ડોઝથી વંચિત રહી જાય છે અને તેમનું આરોગ્ય જોખમાય છે. તેની સામે તકેદારીના રૂપમાં કેન્દ્રીય આરોગ્ય તંત્ર દ્વારા રાજ્ય સરકારોના સહયોગથી ગુજરાત સહિતના બાર રાજ્યોમાં સઘન મિશન ઇન્દ્રધનુષનો ચોથો તબક્કો શરૂ કરવામાં આવ્યું છે જેના હેઠળ પ્રથમ રસીકરણ સત્ર સાતમી તારીખે યોજાઈ ગયું જ્યારે હવે પછી સાતમી માર્ચ અને ચોથી એપ્રિલે વધુ બે રસીકરણ સત્રો યોજવામાં આવશે.
મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ અંતર્ગત નિયમિત રસીકરણમાં કોઈપણ કારણસર વંચિત રહેલા તમામ સગર્ભા માતાઓ તથા ૨ વર્ષ સુધીના બાળકોને તમામ પ્રકારની રસી દ્વારા રક્ષિત કરવાના સંકલ્પ સાથે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ દિવસે જ સમગ્ર જિલ્લામાં અલગ-અલગ ૧૬૫ જેટલા સ્થળોએ રસીકરણ કાર્યક્રમ દ્વારા ૯૭૯ બાળકો અને ૧૩૨ સગર્ભા માતાઓને શોધી તેમને જરૂરિયાત મુજબના બાકી રહેતા રસીના ડોઝ આપવામાં આવેલ હતા.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર સપ્તાહ દરમ્યાન મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ હેઠળ દુર્ગમ વિસ્તાર જેવા કે અંતરિયાળ વાડી વિસ્તાર, ઈંટોના ભઠ્ઠા, ઔદ્યોગિક એકમો વગેરે જગ્યાએ કામ કરતા મજૂરો તથા પરપ્રાંતિય કામદારોમાં અરક્ષિત રહેલા ૦ થી ૨ વર્ષના બાળકો તથા સગર્ભા માતાઓને સર્વેલન્સ દ્વારા શોધીને તેમના બાકી રહેતા રસીના ડોઝ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આપવામાં આવશે તેમજ બાકીના દિવસોમાં બાકી રહેલા તમામ લાભાર્થીઓને શોધી રસીકરણમાં આવરી લેવાય તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એચ. પટેલની ટીમ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે એક પણ સગર્ભા કે બાળક રસી વગરનું રહી ના જાય તે માટે અભિયાનમાં વાડી માલિકો તથા ઔદ્યોગિક અને સામાજિક અગ્રણીઓને સહયોગ આપવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવે છે.


















Recent Comments