અમરેલી જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટી ફરાર થઈ ગયેલા કાચા કામના કેદીને એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડ્યો હતો. રાજ્યના પેરોલ, ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તેમજ જેલમાંથી ફરારી કેદીઓ આરોપીઓને પકડવા માટે તા. 26/03/2022થી તા.25/04/2022 સુધી સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરવામા આવ્યું છે. ત્યારે અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલા કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપવામા આવ્યું હતું.
આ દરમિયાન એલ.સી.બી. ટીમ દ્વારા અમરેલી જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટીને ફરાર થઇ ગયેલા નાસતા ફરતા કેદીને લીલીયા તાલુકાના ખારા ગામેથી પકડી પાડવામાં સફળતા મળી છે. ફરાર થયેલો કેદી અમરેલી જિલ્લા જેલ ખાતે પ્રોહીબીશનના કેસમાં કાચા કામના કેદી તરીકે હોય અને હાલ કોરોના વૈશ્વિક મહામારી સબબ આ કેદીને તા.18/01/2022 ના રોજ દિન-60 માટે વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો. જે બાદ આ કેદીઓને તા.20/03/2022 ના રોજ બપોરે 12 વાગ્યે અમરેલી જિલ્લા જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ આ કેદી જિલ્લા જેલ ખાતે હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે દ્વારા તેને પકડી પાડ્યો છે. પોલીસ દ્વારા પકડાયેલા કેદી હરેશ રૂખડભાઇ વેકરીયાને અમરેલી જિલ્લા જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Recent Comments