અમરેલી

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ-૨૩ના પ્રારંભે પોલીસ અધિકારી-કર્મચારીઓ અને ખૈલેયાઓએ ‘સ્વચ્છતા’ના શપથ લીધા

રાજ્યવ્યાપી “સ્વચ્છતા” અભિયાન અંતર્ગત રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા હવે દૈનિક ધોરણે ખાસ “સ્વચ્છતા’ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.  જિલ્લામાં આગામી બે મહિના દરમિયાન સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે ઉપરાંત આગામી ૮ સપ્તાહ દરમિયાન દર રવિવારે થીમ આધારિત વિશેષ સ્વચ્છતા ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે. તા. ૧૫ ઓક્ટોબર,૨૩ના રોજ જિલ્લાના તમામ બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન ખાતે વિશેષ સાફ-સફાઈ અભિયાન યોજાયું હતુ. નવરાત્રી મહોત્સવ-૨૦૨૩માં “સ્વચ્છતા હી સેવા” મહા અભિયાન પહોંચ્યું હતુ.  શારદીય નવરાત્રીના પ્રારંભે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ-૨૩માં પોલીસ અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે રમતાં ખૈલેયાઓએ ‘સ્વચ્છતા’ના શપથ લીધા હતા. આમ, શારદીય નવરાત્રીના પ્રારંભે ખેલૈયાઓએ ‘સ્વચ્છતા’ના શપથ લઈને “સ્વચ્છતા હી સેવા” અભિયાનનું મહત્વ પ્રસ્થાપિત કર્યું હતુ. તા.૧૬ ડિસેમ્બર,૨૦૨૩ સુધી ચાલનાર સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જાહેર જનતા સહિત સૌ સહર્ષ જોડાઈ રહ્યા છે.

      દર વર્ષે અમરેલી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાઈ છે. શહેરના સ્થાનિક લોકો માટે આ નવરાત્રી મહોત્સવનું અનોખું મહત્વ છે. અહીં શહેરના ખેલૈયાઓ સૌહાર્દપૂર્ણ, શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ વચ્ચે ગરબા રમીને નવરાત્રી ઉત્સવનો અનેરો આનંદ માણે છે. સમગ્ર રાજ્યમાં હાલ “સ્વચ્છતા હી સેવા” અભિયાન પૂરજોશમાં આગળ વધી રહ્યું છે. આવો જિલ્લાના સૌ નાગરિકો સ્વચ્છતા હી સેવા મહા અભિયાનમાં સહભાગી બનીને આપણી ભારતીય નાગરિક તરીકેની સાચી ફરજ અદા કરીએ.

Related Posts