અમરેલી માર્કેટીંગયાર્ડ દ્વારા ખેડૂત હિત માટે અનેકવિધ પગલા લેવાઇ રહ્યાં છે ત્યારે આજે યાર્ડમા માલ વેચવા આવેલા ખેડૂત સાથે અભદ્ર વર્તન કરનાર બે મજુરોને યાર્ડમા કાયમ માટે પ્રવેશબંધી લાદવામા આવી છે.
અમરેલી માર્કેટીંગયાર્ડના સેક્રેટરી દ્વારા આજે આ નિર્ણય લેવાયો હતો. અમરેલી યાર્ડના પી.પી.સોજીત્રા અને તેની ટીમે અગાઉ જાહેર હરરાજીમા ખેડૂતનો માલ ખરીદયા બાદ ભાવફેર કરનાર વેપારીને રૂપિયા એક લાખનો દંડ ફટકારાયો હતો તથા યાર્ડમા ખેતજણસની ચોરી કરનાર છ શખ્સોને પણ પ્રવેશબંધી લદાઇ હતી. ત્યારબાદ આજે બે મજુરોને પ્રવેશબંધી લાદવામા આવી છે.
પી.પી.સોજીત્રાએ જણાવ્યું હતુ કે યાર્ડમા મજુરી કરતા ગીરીયાના રામજી મનસુખ પંચાળા તથા બક્ષીપુરના ભાવેશ ભનુભાઇ સાથળીયાને હવે યાર્ડમા પ્રવેશ નહી અપાય. માંગવાપાળના ખેડૂત હરરાજીમા ઘઉં વેચવા આવ્યા હતા ત્યારે તેમના ઢોળાયેલા ઘઉં લેવાના મુદે આ બંને મજુરોએ નશાની હાલતમા તેને ધાકધમકી આપી અપશબ્દો બોલી ગેરવર્તન કર્યુ હતુ. જેથી આ હુકમ કરાયો હતો.


















Recent Comments