અમરેલી

અમરેલી શહેરના આંગણે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા 1000 થી પણ વધુ શુદ્ધ, સાત્વિક અને શાકાહારી વાનગીઓનો મહા અન્નકૂટ ભગવાનના ચરણે ભક્તિ ભાવપૂર્વક અર્પણ કરવામાં આવ્યો.

પૌરાણિક કાળથી નવા વર્ષે નવા ધાન્યો અને પાક દ્વારા ભગવાનના ચરણે અન્નકૂટ ધરાવવાની પરંપરા ચાલી આવે છે.તે જ પરંપરામાં અમરેલી શહેરમાં પણ પ્રતિવર્ષ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા મહા અન્નકૂટ નું આયોજન કરી ભગવાનના ચરણે ભક્તિ અર્ઘ્ય  અર્પણ કરવામાં આવે છે.પૂજ્ય સાધુ ચરિત સ્વામીના માર્ગદર્શન હેઠળ હરિભક્તોની મહિનાઓ મહેનત, બાળ-બાલિકા, યુવક-યુવતી મંડળના અથાગ પ્રયત્નોથી આ ભગીરથ કાર્ય સંપન્ન થયું.
આ મહા અન્નકૂટના દર્શન માટે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી અને અમરેલીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા, અમરેલી જિલ્લાના અગ્રણી મહાનુભાવો, સમાજ ક્ષેત્રના અગ્રણી આગેવાનો, વેપારી બંધુઓ, ઉદ્યોગપતિઓ, વિવિધ જ્ઞાતિઓના પ્રતિનિધિઓ, તબીબી ક્ષેત્રના જાણીતા ડોક્ટર શ્રીઓ, વિવિધ મીડિયાના પ્રતિનિધિઓ સહિત આશરે 10,000 થી વધુ ભાવિકો પધાર્યા હતા.ગઢડા મંદિરના કોઠારી શ્રી પૂજ્ય અધ્યાત્મ સ્વરૂપ સ્વામી એ ગોવર્ધન પૂજા દ્વારા આ અન્નકૂટ દર્શનનો શુભારંભ કરાવેલો.બીએપીએસ સંસ્થા દ્વારા આ મહા અન્નકૂટની પ્રસાદી છેવાડાના માનવી સુધી પહોંચે તે રીતે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અન્નકૂટ પૂર્ણ થયા બાદ ભગવાનનો આ મહાપ્રસાદ જરૂરિયાત મંદ લોકો સુધી સુવ્યવસ્થિત રીતે પહોંચાડી શકાય તે માટે અમરેલી શહેરની 14 જેટલી સામાજિક અને સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા ખૂબ જેહમત ઉઠાવવામાં આવી છે.

Related Posts